23 ગોલ્ડ અને 4 સિલ્વરમેડલ મળી કુલ 27 પદકો અને 797 પદવી પ્રમાણપત્રો અપાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો 16મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો આ તકે રાજ્યપાલશ્રીએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સારી રીતે સમજે છે.
સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-304, આચાર્ય (એમ.એ.)-222, પી.જી.ડી.સી.એ.-201, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-54, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-05 અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-11 એમ કુલ 797 ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં. આ પદવીદાન સમારોહમાં 23 ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને 4 સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ 27 જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતાં.
આ સાથે વિશેષમાં શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ તથા સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન ડો. રાજેન્દ્ર પ્રસાદ શુક્લાને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2024 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આ અવસરે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રાઘ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.