ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની લીલી પરિક્રમામાં પ્રકૃતિ મિત્ર સંસ્થા અનોખુ અભિયાન ચલાવે છે. છેલ્લા નવ વર્ષથી પ્લાસ્ટીક મુકત પરિક્રમા અભિયાન ચલાવી રહ્યાં છે. પરિક્રમામાં આવતા યાત્રિકો પાસેથી પ્લાસ્ટીકની થેલી એકત્ર કરી કાપડની થેલી આપવામાં આવે છે. ચાલુ વર્ષે પરિક્રમામાં 152 પ્રકૃતિ મિત્ર 3 લાખ કાપડની થેલીનું વિતરણ કરશે. પરિક્રમામાં 24 કલાક કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષે પરિક્રમા રૂટ ઉપર 3 ટન જેટલું પ્લાસ્ટીક જતું અટકાવ્યું છે. ગરવા ગિરનારની ગોદમાં આગામી તા. 4 નવેમ્બર થી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેમાં લાખો ભાવિકો ઉમટી પડશે. આ યાત્રિકો જાણે અજાણે જંગલમાં પ્લાસ્ટીકનું પ્રદુષણ કરતા હોય છે. જેના કારણે પ્રકૃતિને નુકસાન થાય છે. આથી પરિકમા દરમિયાન ગિરનાર જંગલમાં પ્લાસ્ટીક જતું અટકાવવા માટે પ્રકૃતિમિત્રોના સેવાભાવી કાર્યકરો દ્વારા પ્લાસ્ટીક થેલી સાથે આવતા યાત્રિકો પાસેથી તે થેલી લઇ તેને કાપડની થેલી આપશે. પ્રકૃતિ મિત્રના ચેરપર્સન પ્રો.ડો.ચિરાગબેન ગોસાઇએ જણાવ્યું હતું.
પરિક્રમામાં 152 પ્રકૃતિ મિત્ર 3 લાખ કાપડની થેલી આપશે
