ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.15
લોકસભા ચૂંટણી અગાઉ હવે બદલીનો દોર શરૂ થયો છે. ત્યારે આજ રોજ એક જ દિવસમાં એક સાથે બદલીઓનો ગંજીપો ચીપાયો છે. આ બદલીના હુકમ સાથે બઢતીના પણ હુકમ કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા આજે એક સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આમ, એક સાથે વિવિધ સંવર્ગના કુલ 148 અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે.
- Advertisement -
જીએએસ કેડરના 14 અધિકારીને બઢતી આપવામાં આવી છે. આમ, તેમના પગાર ધોરણમાં વધારો કરી અને તેમને હાલની જગ્યા પર જ યથાવત રાખવામાં આવ્યા છે.ગુજરાત આંકડાકીય સેવા નાયબ નિયામક વર્ગ 1 ના 7 અધિકારીઓની સંયુક્ત નિયામક વર્ગ 1 તરીકે બઢતી કરવામાં આવી છે જ્યારે 25 જિલ્લા આયોજન અધિકારીની બદલી કરવામાં આવી છે. નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ કામ કરતા 31 નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)ની જાહેર હિતમાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે. મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના વર્ગ 2 સંવર્ગમાં કાર્યરત 71 મામલતદારની બદલી કરવામાં આવી છે. જ્યારે નાયબ મામલતદાર વર્ગ 3ના 11 કર્મચારીઓને મામલતદાર વર્ગ 2 તરીકે બઢતી આપી અને બદલી કરવામાં આવી છે.