18-34 વર્ષના યુવાનો વધુ: ગડકરીએ સ્વીકાર્યું- સરકાર મોતની સંખ્યા ઘટાડવામાં સંપૂર્ણપણે સફળ નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે ભારતમાં દર વર્ષે લગભગ 5 લાખ માર્ગ અકસ્માતો થાય છે, જેમાં સરેરાશ 1.8 લાખ લોકોના જીવ જાય છે. આમાંથી 66% મૃત્યુ યુવાનો (18 થી 34 વર્ષ) ના થાય છે.
કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીના સવાલ પર ગડકરીએ સ્વીકાર્યું કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને કાયદા કડક કરવા છતાં સરકાર મૃત્યુની સંખ્યા ઘટાડવામાં સંપૂર્ણપણે સફળ થઈ નથી.
ગડકરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યોને આધુનિક એમ્બ્યુલન્સ આપવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે 10 મિનિટની અંદર પહોંચશે.
તેમણે ઈંઈંખના એક અભ્યાસનો હવાલો આપતા કહ્યું કે જો ઘાયલોને સમયસર સારવાર મળી જાય તો 50 હજાર જીવ બચી શકે છે.
રાજ્યસભામાં મંત્રીએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં મંજૂર થયેલી 574 નેશનલ હાઈવે પરિયોજનાઓ નિર્ધારિત સમય કરતાં પાછળ ચાલી રહી છે. તેમનો કુલ ખર્ચ આશરે 3.60 લાખ કરોડ રૂપિયા છે.
આમાંથી 300 પરિયોજનાઓ એક વર્ષથી ઓછી, 253 એકથી ત્રણ વર્ષ અને 21 ત્રણ વર્ષથી વધુ સમયથી મોડી છે. જ્યારે, 133 નવી માર્ગ પરિયોજનાઓ (કુલ ખર્ચ 1 લાખ કરોડ રૂ.) જમીન સંપાદન અને વન મંજૂરીમાં ફસાયેલી છે.
2026 સુધીમાં સેટેલાઇટ ટોલ સિસ્ટમ, રૂ.1,500 કરોડ બચશે
માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે 2026 સુધીમાં દેશભરમાં સેટેલાઇટ આધારિત ટોલ પ્રણાલી લાગુ પડશે. આ ટેકનોલોજી સેટેલાઇટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત હશે. વાહનોમાંથી ફાસ્ટેગ અને નંબર પ્લેટ ઓળખ ટેકનોલોજી દ્વારા રોકાયા વિના ટોલ કપાશે. આનાથી 1,500 કરોડ રૂપિયાના ઇંધણની બચત થશે અને 6,000 કરોડ રૂપિયાની વધારાની આવકમાં વધારો થશે. પહેલાં જ્યાં ટોલ પાર કરવામાં 3-10 મિનિટ લાગતી હતી, હવે આ સમય ઘટાડીને શૂન્ય કરવાનો લક્ષ્ય રખાયો છે.



