સી.આર.પાટીલની સ્પર્ધાત્મક પરીક્ષાથી જ્ઞાનતુલા કરવામાં આવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર કેળવણી મંડળ સંચાલિત જે.એમ.પાનેરા કોલેજ અને આદિત્ય સ્કૂલના 32 માં સ્થાપના દિનની ઉજવણીમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી નવી ઊંચાઈ સાથે ઉન્નતિના માર્ગે છે, ત્યારે વડાપ્રધાનના અભિયાનને સાર્થક કરવા યુવાઓ તેમની પ્રતિભા થકી દેશની ઉન્નતીમાં સહભાગી બની તેમના શિક્ષકો ગુરુઓને પણ ગૌરવ અપાવે. તમારી પ્રગતિથી તમારા શિક્ષકને પણ ગૌરવની લાગણી થતી હોય છે.તેઓએ સંસ્થાના સ્થાપક જેઠાભાઈ પાનેરાની શૈક્ષણિક સેવાઓને બિરદાવી યુવાઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને સર્વાંગી વિકાસ થાય તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની આવકાર્યા હતા.આ પ્રસંગે સી.આર.પાટીલની જ્ઞાનતુલા સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોથી કરવામાં આવી હતી. આ પુસ્તકો સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ પ્રસંગે તેઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગૌરવ મળે તેવા નિર્ણયોને આવકારી વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા, પર્યાવરણની જાળવણી કરવા તેમજ સંસ્થામાં શિક્ષણની સાથે જીવનલક્ષી શિક્ષણ પર ભાર મૂકવા શીખ આપી હતી. આ પ્રસંગે જે.એમ.પાનેરા સંસ્થા-કોલેજના સ્થાપક જેઠાભાઈ પાનેરાએ મહાનુભાવોનું સ્વાગત કરી સૌ સાથે મળીને સમાજના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ થવા અને રાજ્ય દેશના વિકાસમાં શિક્ષણનું મહત્વ જણાવી સંસ્થામાં વિદ્યાર્થીઓના ઘડતર માટે થતી પ્રવૃત્તિની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઇ મિયાત્રા એ કર્યું હતું.