રાજકોટને એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપનાર વિજયભાઈ સદૈવ રાજકોટની જનતાના હૃદયમાં રહેશે : રાજુભાઈ ડાંગર
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્લેન ક્રેશના સર્વ દિવંગતોને શ્રદ્ધાંજલિ : જિલ્લા પંચાયત પરિવાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયુ છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. 2 ઓગષ્ટ, 1956ના રોજ જન્મેલા વિજયભાઈ રૂપાણીએ રાજકોટને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની કારકીર્દી શરૂ કરી કટોકટી દરમ્યાન કારાગાર વાસ વહોરી એક પ્રતિબદ્ધ કાર્યકર્તાનો પરિચય આપ્યો અને સંગઠન અને સત્તાકીય ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ મુકામ પ્રાપ્ત કર્યો. જનસંઘ આરએસએસમાં જવાબદારી નિભાવીને ભાજપની પ્રચંડ રાષ્ટ્રવાદની વિચારધારાને પોતાના જીવનમાં ઉતારી વ્યક્તિ નહીં પાર્ટી મહાનના સૂત્રને સાકાર કરી ભવિષ્યની પેઢી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. વિજયભાઈ રૂપાણીએ બુથ લેવલથી મેયર, પ્રદેશ ભાજપ મહામંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, સહિત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ખરા અર્થમાં સંવેદનશીલ પ્રજાભિમુખ સરકારની ઓળખ ગુજરાતની જનતાને કરાવી હતી. સરળ સ્વભાવ અને કુશળ નેતૃત્વ ધરાવતા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હોવા છતાં ખરા અર્થમાં કોમનમેન સાબિત થયા હતા. ત્યારબાદ પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે વિજયભાઈ રૂપાણીને જવાબદારી સોંપાવામાં આવી હતી.
વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન રાજકોટને એઇમ્સની ફાળવણી, અટલ સરોવર અને ન્યુ રેસકોર્ષની ભેટ આપીને રાજકોટવાસીઓના હૃદયમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પાર્ટીમાં સંગઠનક્ષેત્રે કુશળતા પૂર્વક કામગીરી કર્યા બાદ મુખ્યમંત્રીપદે હોવા છતાંય વિજયભાઈ રૂપાણીની સાદગી, સરળતા, સાહજિક્તા અને સંવેદનશીલતા લોકોને સ્પર્શતી હતી. ખાસ કરીને રાજકોટના આગેવાનો- કાર્યકર્તાઓ કે જે વર્ષોથી વિજયભાઈ રૂપાણી સાથે લાગણી અને આત્મીયતાના સંબંધથી જોડાયેલા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક નિધનથી ગુજરાત અને ભાજપને અકલ્પનીય ખોટ પડી છે.
વિજયભાઈ રૂપાણી સાથે વિતાવેલા સંસ્મરણો હરહંમેશ માનસપટ પર રહેશે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાના તમામ દિવંગતોના આત્માને ચિર શાંતિ અર્પણ કરી પરમાત્માના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના સાથે શોકભરી શબ્દાંજલિ અર્પણ કરતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પી જી કિયાડા, શાસક પક્ષ નેતા સવિતાબેન ગોહેલ, દંડક વિરલભાઈ પનારા, તમામ સમિતિનાં ચેરમેન, તમામ સદસ્યો તથા જિલ્લા પંચાયત પરિવાર વતી અંતમાં જણાવ્યુ હતું.