શહેરની સોસાયટીઓમાં પણ રખડતાં ઢોરનાં ત્રાસથી લોકો પરેશાન
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં આખલા યુદ્ધ અને રખડતા પશુઓની સમસ્યા કાયમી બની છે. શહેરનાં મુખ્ય માર્ગો પર પશુઓ અડીંગો જમાવીને બેસી રહે છે. એટલું જ નહી સોસાયટી વિસ્તારમાં પણ પશુઓનાં ત્રાસથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. પરંતુ જૂનાગઢ મહાનગર પાલીકાનાં અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. જૂનાગઢ મનપાનાં કમિશનર રાજેશ તન્ના પણ જાણે રાહદારીનાં મોતની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે. રખડતા પશુ મુદે કોઇ નકકર પગલા લેતા નથી.
જૂનાગઢ શહેરમાં અનેક સમસ્યા મોં ફાડીને ઉભી છે. કોર્પોરેશન બન્યાનાં વર્ષો પછી પણ અનેક સમસ્યાથી જૂનાગઢની પ્રજા ઘેરાયેલી છે. જેનો કોઇ ઉકેલ જ આવતો નથી અને નેતાઓ મત લઇને લોકોને ભુલી જાય છે.જૂનાગઢમાં હાલ રખડતા પશુની સમસ્યા વિકરાળ બની રહી છે.
શહેરનાં મુખ્યો માર્ગો પર પશુનો અડીંગો જોવા મળશે. શહેરનાં કાળવા ચોક, કોલેજ રોડ, મોતીબાગ સર્કલ, બસ સ્ટેશન, મધુરમ ચોકડી, જવાહર રોડ, ગિરનાર દરવાજા રોડ, બિલખા રોડ સહિતનાં માર્ગો પર દિવસ અને રાત રખડતા પશુ જોવા મળે છે. રસ્તામાં બેસી જવાનાં કારણે વાહન ચલાવવા પણ મુશ્કેલ બને છે. રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. તેમજ જૂનાગઢનાં મુખ્ય માર્ગો પર વારંવાર આખલા યુદ્ધ પણ થતા રહે છે.લોકો આવી સ્થિતીમાં ભય સાથે પસાર થાય છે. જૂનાગઢની આવી સ્થિતીમાં પણ મનપા તંત્ર નિદ્રાંમાં પોઢેલુ છે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. જૂનાગઢ મહાનગર પાલીકાની કેટલ પાઉન્ડ શાખા માત્ર પગાર ખાતી હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ મહાનગર પાલીકાનાં કમિશનર જૂનાગઢમાં રાહદારીનાં મોત થવાની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢમાં રાહદારીનાં મોત પછી મનપા તંત્ર જાગશે? તેવા સવાલ ઉભા થયા છે. જૂનાગઢમાં રખડતા પશુ અને આખલાની યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે.
આઇપીસી કલમ 304 હેઠળ સજા અને વળતર ચૂકવવાની જોગવાઇ
રખડતા પુશનાં કારણે અકસ્માત થાય છે. પશુઓનાં કારણે થતા અકસ્માત સબબ ગુનાહિત બેદરકારી બદલ આઇપીસી કલમ 304 હેઠળ સજા તેમજ વળતર ચૂકવવાની જવાબદરી રહે છે.
- Advertisement -
પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે
શહેરમાં રખડતા પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પશુમાલીક મનપાની કેટલ પાઉન્ડ શાખામાં રજીસ્ટ્રેશન કરવી શકે છે. પરંતુ મોટાભાગે પશુ માલીક આવુ કરતા નથી.
તાજેતરમાં આખલા યુદ્ધમાં બેને ઇજા થઇ હતી
જૂનાગઢ શહેરમાં તાજેતરમાં આખલા યુદ્ધમાં બેને ઇજા થઇ હતી.આ ઘટના સોસાયટી વિસ્તારમાં બની હતી. આ ઘટના બાદ પણ મનપાએ કોઇ જ કાર્યવાહી કરી ન હતી.
સોસાયટી વિસ્તારમાં વાહનને નુકશાન
જૂનાગઢમાં મુખ્ય માર્ગો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં પણ રખડતા પશુઓની જમાવડો રહે છે. પશુઓની દોડા દોડી અને લડાઇમાં સોસાયટીમાં પડેલા વાહનને પણ નુકશાન થયા છે.