બે વર્ષમાં દેશના તમામ તાલુકામાં સંઘની કામગીરી પહોંચાડવાનું લક્ષ્યાંક
ભારત વિશેની ચર્ચા વધુ મજબૂત રીતે થાય, તેને વધુ પ્રભાવક બનાવી શકાય એ માટે આગામી વર્ષોમાં વિશેષ પ્રયાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારતના હિન્દુ સમાજ, સંસ્કૃતિ, ઈતિહાસ, અહીંની જીવન પદ્ધતિ અંગે એક સાચું ચિત્ર સમાજ સમક્ષ રજૂ થવું જોઇએ. ભારતની અંદર તેમજ વિદેશોમાં ભારત અંગે કાંતો અજ્ઞાનને કારણે અથવા જાણીજોઇને ખોટી બાબતો ફેલાવવાનું કાવતરું ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ વૈચારિક ભ્રમણાને બદલીને તથ્ય આધારિત ભારત વિશેના જ્ઞાનને આગળ વધારવાનું છે. સમાજમાં અનેક લોકો આ દિશામાં કામગીરી કરી રહ્યા છે, સંશોધન કર્યાં છે, પુસ્તકો લખ્યાં છે. વિચારધારાને આગળ વધારવા માટે એ બધાની સાથે સંકલન-સહયોગ કરવામાં આવશે.
સરકાર્યવાહજી કર્ણાવતીમાં આયોજિત ત્રણ દિવસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકના અંતિમ દિવસે (રવિવાર, 13 માર્ચે) પત્રકારોને સંબોધી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, સંઘની સ્થાપનાનું શતાબ્દી વર્ષ નજીક આવી રહ્યું છે. પ્રત્યેક ત્રણ વર્ષે સંઘની કામગીરીના વિસ્તરણ માટે (ભૌગોલિક તેમજ સંઘની કામગીરીના આયામો સહિત) યોજના તૈયાર કરવામાં આવે છે અને જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા હોય તે આગળ વધારવામાં આવે છે. દર વર્ષે બે વખત (કાર્યકારી મંડળ, પ્રતિનિધિ સભા)માં તેની સમીક્ષા કરવામાં આવે છે.હાલ દેશમાં 50 ટકા તાલુકામાં સંઘની કામગીરી પહોંચી છે અને આગામી બે વર્ષમાં તમામ તાલુકામાં કામગીરી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. શહેરી ક્ષેત્રોમાં 45 ટકા વિસ્તારોમાં સંઘ કાર્યરત છે, અને બે વર્ષમાં તમામ વિસ્તારોમાં તે પહોંચાડવાનું લક્ષ્ય છે.
- Advertisement -
સરકાર્યવાહે જણાવ્યું કે, સંઘની કામગીરીમાં વધારો કરવાનો ઉદ્દેશ સંખ્યાના આધારે ગર્વ લેવા માટે નથી. સંઘના પ્રત્યેક સ્વયંસેવક દરેક વિસ્તાર-તાલુકામાં છે અર્થાત રાષ્ટ્રીયતા, રાષ્ટ્ર ભાવનાને આગળ વધારનાર એક-એક વ્યક્તિ તો છે જ. તેઓ મુશ્કેલીના સમયે સમાજના તમામ લોકોને જોડનાર વ્યક્તિ હોય છે. આથી સંઘના સંગઠનની ક્ષમતા વધારવાનું અમારું લક્ષ્ય નથી, પરંતુ અમારું ધ્યેય સમાજની આંતરિક શક્તિ વધારવાનું છે. સામાજિક એકતા, સમરસતા, સંગઠન ભાવ વધારવાનો છે. આથી સંઘની શાખા છે એ ભાવનાને સમજીને સમાજે સહયોગ આપ્યો છે, સહજ સ્વીકાર કર્યો છે.