પિટિશન પાછી ખેંચી લેતા એક વર્ષથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી છે
હવે માર્ગ મોકળો બન્યો છે, ફરી ત્રી-પાંખિયો જંગ જોવા મળે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
અંતે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ પરિણામ બાદ જે તે સમયે વિજેતા બનેલા આપના ઉમેદવાર ભુપત ભાયાણીની ચૂંટણી પરિણામને રાજ્યની વડી અદાલતમાં પડકાર ફેંક્યો હતો. જેમાં હર્ષદ રીબડીયાએ ઇલેક્શન પિટિશન પરત ખેંચતા અંતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. એક વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી ક્યારે થશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. રાજકીય અને કાયદાકીય ચુંગાલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થતો જોવા મળી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને વર્ષ 2022માં ભાજપના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ ચૂંટણી પરિણામ બાદ વિજેતા થયેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણીએ ગેરરીતી કરીને ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, તે પ્રકારની ચૂંટણી પીટીશન રાજ્યની વડી અદાલતમાં દાખલ કરી હતી. આ પીટીશનને ગઈકાલે મંગળવારે હર્ષદ રીબડીયાએ પાછી ખેંચતા વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. બે દિવસ પૂર્વે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઇલેક્શન પિટિશન પરત ખેંચવાની અરજી રાજ્યની વડી અદાલતમાં કરી હતી, જેમાં ગઈ કાલે મંગળવારે સુનાવણી પૂર્ણ થતા હાઇકોર્ટે ચૂંટણી પીટીશન પર અંતિમ નિર્ણય જાહેર કર્યો છે. 2022થી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના પડઘમ વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વિસાવદર બેઠક પર ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભુપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરસનભાઈ વાળદોરીયા વચ્ચે ચૂંટણી જંગ જામી હતી. ચૂંટણી પરિણામોમાં આપના ઉમેદવાર ભુપત ભાયાણી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિસાવદર બેઠક પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા, ત્યાર બાદ 13 ડિસેમ્બર 2022ના દિવસે ભુપત ભાયાણીએ આપ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, ત્યારથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે, વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે, તેની વચ્ચે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડીયા અને આમ આદમી પાર્ટી માંથી આવેલા ભુપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ પણ પ્રકારનું ગઠબંધન અથવા તો સહમતિ વિસાવદર વિધાનસભા બેઠકને લઈને ન થાય તો ફરી એક વખત ત્રિપાંખીયા જંગની શક્યતા પ્રબળ બની રહી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપને કારણે ઘણી બેઠકો ઉપર કોંગ્રેસને નુકસાન થયું હતું, જે પૈકીની એક બેઠક વિસાવદર પણ માનવામાં આવે છે.