ગુજરાત હવે લાયન ઉપરાંત ટાઈગર સ્ટેટ બન્યું છે ત્યારે એક ખોફનાક ઘટનાક્રમની વાત…
ગુજરાત સિંહ, દીપડો અને વાઘની હાજરી ધરાવતું હોય એવું પ્રથમ રાજ્ય બની ગયું છે. એમાં પણ સૌરાષ્ટ્રનું વન્ય જીવન એશિયાઈ સિંહો માટે જાણીતું છે. આજે સાસણ-ગિરમાં દેશ-વિદેશથી લોકો સિંહ દર્શન કરવા માટે આવે છે. હાલમાં થયેલી ગણતરીમાં જ એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર, 330 માદા,140 પાઠડા, 225 બચ્ચા નોંધાયા છે.જોકે બહુ ઓછાને ખ્યાલ હશે કે, એક સમયે ગિરના જંગલોમાં વસતા સિંહોની સંખ્યા ખૂબ જ ઘટી ગયેલી હતી જેની પાછળનું મુખ્ય કારણ હતું, ગિરનો વિરપ્પન હમાલ હસન.
આજથી અઢી-ત્રણ દાયકા પૂર્વે ગિર જંગલમાં ત્રીસ સિંહોના શિકારનો આરોપી હમાલ હસન નહીં પકડાતા તેને દક્ષિણ ભારતના ચંદનચોર વિરપ્પન જેમ ગિરના વિરપ્પનનું બીરૂદ મળેલું હતું. વિશ્વ આખામાં હોબાળો થતા રાજ્ય સરકારે આ ગિરનાં ‘વિરપ્પન’ને પકડવા માટે ખાસ હુકમો કરી હેલીકોપ્ટર સહિત ત્રણ જિલ્લાની દોઢેક હજાર પોલીસ, એસઆરપી, વનતંત્ર સહિતનાઓએ મહાઅભિયાન ચલાવેલું હતું.
- Advertisement -
રાજ્ય સરકારે આ ગિરનાં ‘વિરપ્પન’ને પકડવા માટે ખાસ હુકમો કરી હેલિકોપ્ટર સહિત ત્રણ જિલ્લાની દોઢેક હજાર પોલીસ, જછઙ, વનતંત્ર સહિતનાઓએ મહાઅભિયાન ચલાવ્યું હતું!
1990ના દસકમાં ગિર જંગલમાં આવેલા સેમરડી ગામની સીમમાંથી ત્રીસ સિંહોના મૃતદેહો કે જે શિકાર કરેલા કે મારી નાખેલા અને દાટી દીધેલા તે મળી આવેલા હતા. આ બાબતે પર્યાવરણવાદીઓ પ્રકૃતિપ્રેમીઓએ ખૂબ જ ઉહાપોહ મચાવેલો. બીબીસી લંડને તો સચિત્ર સમાચારો આપતા સમગ્ર વિશ્વમાં આ ઘટનાના જબરદસ્ત પડઘા પડેલા અને જે તે તંત્ર તો ઠીક પણ કેન્દ્ર સરકાર પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયેલી. આ ત્રીસ સિંહોના શિકાર માટે વનતંત્રની અણઆવડત અને બેદરકારી તો છતી થયેલી, પરંતુ આ સિંહોનો શિકાર કરનાર મુખ્ય સુત્રધાર શિકારી આરોપી અને સેમરડી ગામનોજ રહીશ હમાલ હસનને પકડી શકતો ન હતો.
જેમ દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક અને કેરલના જંગલોમાં રહેતા આંતરરાષ્ટ્રીય ચંદનચોર વિરપ્પનને તે સમયે ત્યાની સરકારો પકડી શકતી નહતી તેમ આ ગુજરાતના ગિરના જંગલમાંથી શિકારી હમાલ હસનને અમરેલી અને જૂનાગઢ જિલ્લાનું વનતંત્ર પકડી શકતું ન હતું. દક્ષિણ ભારતનો વિરપ્પન તો આંતરરાષ્ટ્રીય ચંદનચોર અને દાણચોર આર્થિક રીતે સંપન્ન અને વિદેશી હથિયારોથી સજજ અને મોટી ટોળકીઓ ધરાવતો હતો. જ્યારે ગિરનો હમાલ હસન ઉર્ફે ‘ગીરનો વિરપ્પન’તો એકલો ખાસ કોઈ હથિયારો વગરનો અને જનતાની ભાષામાં કહીએ તો ‘રોટલીયો’ ગુનેગાર જ હતો. તે બચપણથી જ ગિરનાં જંગલોમાં ઉછર્યો હોય નાના મોટા ગુન્હાઓ કરી જંગલોમાં લાંબો સમય ભટકતો રહેતો હતો. તે ધારીના દલખાણીયા, ખાંભાના ગીદરડી, કોડીનારના ઘાંટવડના જંગલોમાં તેમજ વિસાવદર, ગીરગઢડા, અને તાલાળાના જંગલોમાં વાંદરાની જેમ લપાતો છુપાતો રહેતો હતો. ટૂંકમાં 450 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગિરનાં જંગલોનો તે ભોમીયો થઈ ગયો હતો અને વનતંત્ર તેની પાસે વામણું પડતું હતું તેથી પકડાતો નહોતો.
રાજ્ય સરકારે ગિરના જંગલને ફરતે આવેલા પોલીસ મથકોને પણ ખાસ હુકમ કરીને હમાલ હસનને પકડવા માટે આદેશો આપેલા તેમ છતા તે પકડાતો નહતો. એશિયાખંડના દુર્લભ સિંહોના જથ્થાબંધ શિકારને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બદનામી વધી જતા સરકારે તે વખતના રાજ્યના પોલીસ વડા દત્તા કે જેઓ સૌરાષ્ટ્રની ભૂગોળથી કાંઈક અંશે વાકેફ હતા તેમને આ શિકારીને ખાસ પકડવા તાકીદ કરી હતી. આથી પોલીસ દળના વડા દત્તાએ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સફળતાપૂર્વક ફરજ બજાવી ગયેલા અધિકારીઓને એકઠા કરી ખાસ પકડવા માટેના કોમ્બીંગનું આયોજન કર્યું હતું અને આ બંને જિલ્લાનાં ભોમીયા ગણાતા ફોજદાર માનસિંહ રાઠોડની સરદારીમાં અને વનતંત્રની રાહબરી તળે દોઢ હજાર જેટલા જવાનો જેમાં પોલીસ એસ.આર.પી. અને વનતંત્રના કર્મચારીઓ તો જુદા તેમનું સંકલન કરી ‘ઓપરેશન હમાલ હસન’ને પકડવાનું મહાઅભિયાન શરૂ કરેલું હતું. જેનું સુપર વિજન જાતે પોલીસ દળના વડા દત્તાએ હેલીકોપ્ટરમાં ઉડીને કરેલું હતું. આવું મહાઅભિયાન ભૂતકાળમાં ખૂનખાર બહારવટીયા ‘ભૂપત’ને પકડવા પણ થયેલું ન હતું આથી આ સમાચારો મીડિયામાં ખૂબ જ પ્રસિધ્ધ થતા મુફલીસ ગુનેગાર હમાલ હસનને બહુ મોટા કવરેજનું બહુમાન મળેલું પણ તેમ છતા હમાલ હસન પકડાયેલો નહીં જાણે હવામાં ઓગળી ગયો!
આ મહાઅભિયાન પૂરું થયા પછી તૂર્ત જ કોડીનાર ના એક પત્રકારે ગિરના જંગલમાં જઈ હમાલ હસનને મળી તેનું ઈન્ટરવ્યૂ લઈ ફોટાઓ સાથે સમાચારોમાં પ્રસિધ્ધ કરતા વન તંત્ર તો ઠીક પણ પોલીસ દળ ઉપર પણ માછલા ધોવાવા લાગ્યા કે એકમાત્ર પત્રકારને આ ગુનેગારનો પત્તો મળતો હોય તો આવા હજારોની સંખ્યા વાળા તંત્રોને પત્તો મળતો નથી તે એક કોયડો કહેવાય! તે પછી પણ તંત્રના ખૂબ પ્રયત્નો છતા ગુનેગાર હમાલ હસન પકડાયો નહીં અને જંગલમાં જ રખડતો રહ્યો.
જો કે ત્યારબાદ થોડા સમય પછી ગીરનો વિરપ્પન હમાલ હસન ખાંભાના ગીદરડીના જંગલમાંથી અમરેલી પોલીસના હાથે ઉંઘતો ઝડપાયેલો પરંતુ ત્યારબાદ કોડીનાર પોલીસ હમાલને એક ખૂન કેસની તપાસમાં ટ્રાન્સફર વોરંટથી લઈ ગયેલ અને તપાસ દરમિયાન ઘાટવડના જંગલોમાં તે કોડીનાર પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયેલો હતો. એવું પણ કહેવાય છે કે, ગિરના જંગલનો રાજા સિંહ નહીં, હમાલ હસન હતો. સિંહોના શિકાર કરી હમાલ હસન તેના નખ, ચામડી સહિતના અંગોની તસ્કરી કરતો હતો. આ કારણે એ સમયમાં ગિરમાં સિંહોની સંખ્યામાં ભયંકર ઘટાડો થઈ ગયેલો હતો. હમાલ હસનના ઠાર મરાયા બાદ સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવાની શરૂઆત થઈ હતી.



