મહેશગિરી ભૂતનાથ જગ્યાનાં નકલી મહંત
એડવોકેટ હેમાબેન શુકલની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ, અનેક ચોંકાવનારા ખૂલાસા થયાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ક્ષેત્રના ધાર્મિક સ્થાનમાં ગાદી વિવાદને રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જૂનાગઢના સિનિયર એડવોકેટ હેમાબેન શુક્લા, ભાજપ અગ્રણી ગિરીશ કોટેચા અને શિવગીરીએ ભૂતનાથની જગ્યાના નકલી મહંત મહેશગિરીના ષડ્યંત્રનો ભાંડાફોડ કર્યો હતો. પત્રકાર પરિષદમાં હેમાબેન શુક્લ, ગિરીશ કોટેચા તેમજ શિવગીરીએ વસંતગીરીનું અંતિમ અને અસલી વસિયતનામું મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું અને જાહેરમાં જ સીલબંધવિલ ખોલીને મહેશગિરીની અસલિયત સૌ સમક્ષ મૂકી હતી.
ભૂતનાથનાં મહંતે પોતાનાં વિલમાં શિવગિરીને અનૂગામી નિમ્યાં છે, સીલબંધ કવરમાં રહેલું વિલ રાજકોટમાં ખૂલ્યું
પત્રકાર પરિષદમાં જૂનાગઢનાં સિનિયર મહિલા એડવોકેટ હેમાબેન શુક્લએ જણાવ્યું હતું કે, પદ, પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા મહેશગિરી વસંતગિરીના બ્રહ્મલીન થતાંની સાથે જ ખોટી રીતે ભૂતનાથ મંદિરના મહંત બની ગયા છે. હકીકતમાં તેમના શિષ્ય શિવગિરી ભૂતનાથ મંદિરમાં મહંત હોવા જોઈએ. આ વાતના પુરાવારૂપે એડવોકેટ હેમાબેન શુક્લ અને શિવગિરીએ વસંતગિરીનું અસલી અને અંતિમ વસિયતનામું ખોલીને અસંખ્ય પુરાવાઓ રજૂ કર્યા હતા. હેમાબેન શુક્લાએ જણાવ્યું હતું કે, મહેશગિરીએ સત્તાનો દુરુપયોગ કરી તંત્રની મિલીભગતથી ભૂતનાથની જગ્યા હડપ કરી છે. મહંતની જગ્યાએ બિરાજવા પાછળ પણ દાદાની આરતી કે સેવા ભક્તિ નહીં પરંતુ કરોડો-અબજોની જમીન પચાવી પાડવાનો ઉદ્દેશ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
- Advertisement -
ગિરીશ કોટેચાએ પણ ભૂતનાથના મહંત વસંતગિરીએ શિવગીરીને પોતાના અનુગામી નિમ્યા હતા તેમના આધાર-પુરાવાઓ સાથે મહેશગિરીને ઉઘાડા પાડ્યા હતાં. પત્રકાર પરિષદમાં મહેશગિરીના કાળા કારનામાઓને લઈ એક પછી એક અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક પોલીસ, ચેરિટી કમિશનરથી લઈ સરકારી તંત્ર ક્યાં પ્રકારે મહેશગિરીને છાવરી રહ્યું છે તેની વાત કરી હતી. મહેશગિરીના અંગૂઠા કાંડથી લઈ ગિરનાર પર્વત ક્ષેત્ર પચાવી પાડવા મહેશગિરી દ્વારા કેવા-કેવા પ્રપંચ કરી દાદગીરી કરવામાં આવી રહી છે તેની વિસ્તૃત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવી હતી.
સ્વયંભૂ મહંત મહેશગિરી વિરુદ્ધની વાસ્તવિકતા ઉજાગર કરવામાં અગ્રેસર ‘ખાસ-ખબર’
જૂનાગઢના ગિરનારમાં આવેલા અંબાજી મંદિરના ગાદી વિવાદથી શરૂ થયેલા મહેશગિરીના અંગૂઠા કાંડથી લઈ તેના દ્વારા બનાવતી કાગળિયા કરવા, જમીન પચાવી પાડવી, ગેરકાયદે દબાણ કરવું, જગ્યાઓ હડપ કરવી વગેરે જેવા અનેક અહેવાલ પુરાવા સહ ‘ખાસ-ખબર’માં રજૂ કરવામાં આવ્યા છે. પરપ્રાંતીય મહેશગિરીનો એકમાત્ર હેતુ ગિરનાર પર્વત ક્ષેત્રમાં આવેલી સનાતન ધર્મની જગ્યાઓ પચાવી પાડવાનો અને સ્થાનિક સંતો-મહંતોને કનડગત કરવાનો છે તે આજની પત્રકાર પરિષદ બાદ ફરી એકવાર સાબિત થયું છે ત્યારે આ તમામ મામલે ‘ખાસ-ખબર’ના અહેવાલ અને ઈન્ટરવ્યૂ સચોટ-સત્ય સાબિત થયા છે.
મહેશગિરીએ મને રાતોરાત કાઢી મૂક્યો, મારા જીવને ખતરો: શિવગીરી
પત્રકાર પરિષદમાં શિવગીરીએ પોતાના જીવને ખતરો હોવાની વાત કરી જણાવ્યું હતું કે, ગુરુ વસંતગીરીના બ્રહ્મલીન થયા બાદ મહેશગિરીએ મને રાતોરાત ભૂતનાથ મહાદેવ મંદિરમાંથી કાઢી મૂક્યો હતો અને ત્યારબાદ હું મોઢું છૂપાવી ભાગતો ફરું છું. મારામાં થોડીઘણી હિંમત આવી એટલે ગિરીશ કોટેચાનો સંપર્ક કરી આધાર-પુરાવાઓ સાથે સત્ય સમજાવ્યું પછી તેઓએ પણ સ્વીકાર્યું કે મહેશગિરીએ ખોટું કર્યું છે. શિવગીરીએ મહેશગિરીની વરવી વાસ્તવિકતા મીડિયા સમક્ષ રજૂ કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.
જૂનાગઢ પોલીસની નિષ્ક્રિયતા પર હેમાબેને સવાલો ઉઠાવ્યા
બહુ જાણીતી વાત છે કે, મહેશગિરીને જૂનાગઢ પોલીસનું છાનું નહીં, સાવ ઉઘાડું સમર્થન છે. મહેશગિરીએ બેઉ મહંતોનાં અંગૂઠા આઈ.સી.યુ.માં જઈને લીધાં હોવાની કબૂલાત જાહેરમાં કરી હોવા છતાં જૂનાગઢ પોલીસે તેની પર કોઈ ઍકશન લીધાં નથી. હેમાબેન શુક્લએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ પોલીસ ધરાર તેમની એફ.આઈ.આર. લેતી નથી. આ વાત પરથી એવું તારણ નીકળે છે કે, મહેશગિરીનાં ગોરખધંધાને પોલીસ અધિકારીનું પૂર્ણ સમર્થન રહ્યું છે. એક ચર્ચાતી વિગત મુજબ તો એક પોલીસ અધિકારીને મહેશગિરીએ ખૂબ મોટી જમીન પણ આપી છે. જો કે, આ બાબતનાં કોઈ પુરાવા હજુ બહાર આવ્યા નથી.
મહેશગિરી પાસે તેમની ચાદર વિધિના કોઈ પુરાવા નથી: ગિરીશ કોટેચા
ભૂતનાથ મહાદેવ મંદિરના તત્કાલીન મહંત વસંતગીરીની તબિયત લથડતા તેઓને જૂનાગઢમાં આવેલી ડો. ચીખલીયાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જઈને મહેશગિરીએ વસંતગીરીના કેટલાક અંગૂઠા કેટલાક કાગળિયા પર લઈ લીધા હતા અને વસંતગીરીના બ્રહ્મલીન બાદ તેઓ રાતોરાત ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બની ગયા હતા. આ વિશે ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે, મહેશગિરી પાસે તેમની ચાદર વિધિના કોઈ પુરાવા નથી. તેઓ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત હોય તો તેના પુરાવાઓ રજૂ કરે. શિવગીરી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત છે તેના વીડિયો પુરાવાઓ અને વિલ છે ઉપરાંત તેમની ચાદર વિધિ પણ કરવામા આવી છે.