ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેર અને બહારના વિસ્તારોમાં મામૂલી વરસાદ બાદ પણ નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણીનો ભરાવો સતત રહે છે અને આસપાસના લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે આ અંગે અનેકાનેક રજૂઆતો કર્યા પછી પણ પાલિકાએ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા તાજેતરના વરસાદના પાણી હજુ ભરાયેલા હોઈ, લોકોની ધીરજ ખૂટી પડી હતી અને રામધૂન બોલાવી, રસ્તા પર ચક્કાજામ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે ચીમકી ઉચ્ચારી હતી કે હજુ પણ જો પાલિકા નહીં જાગે તો આંદોલન કરવામાં આવશે.
- Advertisement -
મોરબી શહેરના અવની ચોકડી આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક વાહનો ફસાતા હોય જેના કારણે શાળાએ જતાં બાળકોથી લઈ રોજિદા કામધંધે જતા લોકોને હાલાકી પડતાં સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ હતી જે બાદ આજે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો અને સ્થળ પર રામધૂન બોલાવી હતી અને પાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો અને જો વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.