ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.24
પોરબંદરના માધવપુર ગામે તાજેતરમાં યોજાયેલા લોકમેળામાં તસ્કર ગેંગનો તરખાટ સામે આવ્યો છે, જેમાં બે મોબાઈલ અને એક બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુળ માંગરોળ પંથકના તથા હાલ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા અને પાનની દુકાન ચલાવતા નિલેષભાઈ મેરામણભાઈ કરમટાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગઈ તા. 17/04/24ના તેઓ પોતાના હીરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે 11 બીએલ 6355 લઈને માધવપુર લોકમેળામાં રાત્રે નવ કલાકે આવ્યા હતા ત્યારે તેઓએ પોતાનું મોટર સાયકલ લોકમેળામાં બાપા સીતારામ મંદિરની પાછળ ગોલ્ડન પાસ પાર્કિંગમાં રાખ્યું હતું, પરંતુ તેઓ આશરે 11 વાગ્યે પરત ફર્યા ત્યારે તેઓનું મોટર સાયકલ ક્યાંય જોવા મળ્યું ન હતું, જેની શોધખોળ કરવા છતાં મળી નહીં આવતા, આખરે તેઓએ પોતાનું 25 હજારની કિંમતનું મોટ2 સાયકલ ચોરી થયું હોવા અંગે માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
અન્ય એક ફરિયાદ માધવપુર ગામે ગણેશ સોસાયટીમાં રહેતા અંજુબેન જેન્તીભાઈ ગોરેજીયા નામના મહિલાએ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તા. 18/04ના સાંજે તેઓ પોતાના પાડોશી મહિલાઓ સાથે માધવપુર મેળામાં ગયા હતા. એ દરમિયાન તેઓએ પોતાની થેલીમાં રાખેલા રૂા. 17,999 ની કિંમતના મોબાઈલની કોઈ તફડંચી કરી ગયું હતું. આ ઉપરાંત મુળ માણાવદર પંથકના અને હાલ કુતિયાણાના ટાવર ચોકમાં રહેતા જીમીશગીરી નટવરગીરી ગોસ્વામી (ઉ.વર્ષ 22) એ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તા. 18/04ના રાત્રીના સમયે તે પોતાના મિત્ર સાથે માધવપુર ગામે લોકમેળામાં ફરવા ગયા હતા. ત્યારે રાત્રીના સમયે કોઈએ જીમીશગીરીના ખિસ્સામાં રાખેલો સેમસંગ કંપનીનો 30,999ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ ચોરી કરી ગયું હતું. માધવપુર પોલીસે આ ચોરીના બનાવો અંગે ધોરણસર ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.