જૈન વિઝન દ્વારા સતત 12માં વર્ષે પ્રભુ મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સામાજિક સંસ્થા જૈન વિઝન દ્વારા મહાવીર જયંતીના ઉપલક્ષીમાં વર્ષોથી યોજાતા ભક્તિમય લોકપ્રિય કાર્યક્રમ આવો રે આવો મહાવીર નામ લઈએ નું આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના છ સેવાભાવી અગ્રણીઓનું જૈન વિઝન દ્વારા અભિવાદન પણ કરવામાં આવશે.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના જણાવ્યા અનુસાર દર વર્ષની જેમ આ વરસે પણ કાર્યક્રમોની હારમાળા સર્જવામાં આવી છે. જૈન સમાજના ચારેય ફિરકાઓનો અતિ લોકપ્રિય ભક્તિ સંગીતનો કાર્યક્રમ ’આવો રે આવો મહાવીર નામ લઈએ’ નું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 10 મી એ રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાશે આ કાર્યક્રમમાં મુંબઈ અને અમદાવાદના શ્રેષ્ઠ સિંગરો ભક્તિરસ પીરસશે.
આવો રે આવો મહાવીર નામ લઈએ કાર્યક્રમ વરસોથી યોજાતો ભક્તિમય લોકપ્રિય કાર્યક્રમ છે અને હજારોની સંખ્યામાં જૈન-જૈનેતરો આ ભક્તિ સંગીત સંધ્યા માણે છે.આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ હાજરી આપનારને મળનારા ઇનામનું છે. આ કાર્યક્રમમાં હાજરી આપનારા માટે લક્કી ડ્રો રાખવામાં આવ્યો છે અને તેમાં વિજેતા થનારને સુવર્ણ મુદ્રા, ચાંદીની ગીની અને નાના બાળકોને સાઈકલ જેવા ઇનામો રાખવામાં આવ્યા છે.
- Advertisement -
આ ભક્તિ સંગીત સંધ્યામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમનું ઉદઘાટન મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ અને જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી ના હસ્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય દર્શિતાબેન શાહ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, જૈન અગ્રણીઓ પ્રવીણભાઈ કોઠારી, દિનેશભાઈ પારેખ અને ગીરીશભાઈ ખારા ઉપરાંત સદર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ કિશોરભાઈ દોશી, મોડર્ન ગ્રુપના મુકેશભાઈ દોશી, બિલ્ડર પપ્પુભાઈ મહેતા અને કેતનભાઇ શેઠ, જેડીઝ આઈકેરવાળા જસ્મીનભાઇ ધોળકિયા, દોશી ઇલેક્ટ્રોનિક્સના કિશોરભાઈ દોશી,સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા, સહકારી અગ્રણી નલીનભાઈ વસા , એડવોકેટ પિયુષભાઈ શાહ, વિસામણ ગ્લોબલ સેલ્સના મિતુલભાઈ વસા, જૈન અગ્રણી અપૂર્વભાઈ મણીયાર, રાજકોટ જીતોના ચેરમેન હેમલભાઈ શાહ,જૈન અગ્રણી પ્રતાપભાઈ વોરા અને એ કેયુરભાઈ વોરા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ માટે મુખ્ય સહયોગ માતૃશ્રી ઇન્દિરાબેન અનંતરાય કામદાર (હસ્તે રાજેશભાઈ અને નીતિનભાઈ), માતૃશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેનાણી (હસ્તે ધારાબેન જીતુભાઈ બેનાણી), ઋષભ ચંદ્રકાન્તભાઈ શેઠ અને સુગંધાબેન ઓમકાર મલજી જૈન (હસ્તે અજીતભાઈ જૈન )તથા ગુજરાત સ્કુલ ઓફ એક્સલન્સ દ્વારા પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી, ભરત દોશી, અજીત જૈન, ગિરીશ મહેતા, મહેશભાઈ મણીયાર, દીપક કોઠારી, હેમલ મહેતા, ધ્રુમિલ પારેખ, અખિલ શાહ, વિપુલ મહેતા, સચિન વોરા, નિલેશ તુરખીયા, યોગીન દોશી, નીલ મહેતા, નીરવ મહેતા, તુષાર પતિરા, પરેશ દફ્તરી, ગૌરવ દોશી, ધવલ મહેતા, મનીષ પારેખ, હિતેશ દેસાઈ, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, હિમાંશુ પારેખ, સંજય મહેતા, ડો. હાર્દિક શાહ, કેતન સંઘવી, જય મહેતા, પ્રદીપ ગોસલીયા, ડો.દેવેન કોઠારી, દેવાંગ ખજુરીયા અને ભાવેશ પારેખ વગેરે જહેમત ઉઠાવી છે.
જેમનું સન્માન થવાનું છે તેમનો પરિચય
જીતુભાઈ બેનાણી : મૂળ ગોંડલના વતની અને હરકિશનભાઈ તથા રમીલાબેન બેનાણીના પનોતા પુત્ર જીતુભાઈ બેનાણી આજે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર – ગુજરાતમાં જૈન સમાજના ભામાશા તરીકે ઓળખાય છે. 1980 માં ગોંડલ છોડીને રાજકોટને કર્મભૂમિ બનાવનાર જીતુભાઈ બેનાણી એ પોતાની સુઝબૂઝથી વ્યવસાય શરૂ કર્યો અને નસીબે પણ તેમને સાથ આપ્યો. ખાસ કરીને જમીન મકાનના વ્યવસાયમાં તેમને ઘણી બરકત પ્રાપ્ત થઈ છે. જૈન સમાજના આંગણે કોઈપણ કાર્યક્રમ હોય .. પછી તે સાધુ-સંતોના ચાતુર્માસ પ્રવેશ હોય તેમનું વૈયાવચ્ચ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય જીતુભાઈ હંમેશા દાતા તરીકે આગળ રહે છે. હાલમાં જેનું નવિનિકરણ ચાલી રહ્યું છે તે વિરાણી બહેરા મૂંગા શાળામાં પણ તેમણે માતબર રકમનું દ્દાન આપ્યું છે આ સિવાય જૈન બોર્ડિંગ તેમજ કોઈપણ ઉપાશ્રયમાં કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો જીતુભાઈ હંમેશા સહયોગ આપે છે.
ઇન્દુભાઇ બદાણી : પોતાના વતનથી સાત સમંદર દુર રહેતા હોવા છતાં વતન પ્રત્યેનું ઋણ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહેતા અને ભામાશા તરીકે જાણીતા ઇન્દુભાઇ ભીમજીભાઈ બદાણીનું નામ સમાજમાં આદરપૂર્વક લેવાય છે. રાજકોટમાં જ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ઇન્દુભાઇ તેમના મોટાભાઈઓ રમણીકભાઈ અને નાગરભાઈ સાથે એડીસ અબાબા સ્થાયી થયા હતા. અને ત્યાં વેપાર વિકસાવ્યો હતો. ઇન્દુભાઈના પુત્ર અનિશભાઇ આજે ઇથોપિયાનાં અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમના પુત્રી વિશાખા એડીસ અબાબામાં રહે છે જયારે પુત્રી આરતી અમેરિકામાં સ્થાયી છે. ઇન્દુભાઈના ધર્મપત્ની સ્વ. સુશીલાબેન પણ ખુબ જ ધાર્મિક અને સમાજલક્ષી સેવાભાવના ધરવતા હતા. જુદી જુદી જૈન સંસ્થાઓમાં આ બદાણી દંપતિનું ઘણું યોગદાન છે. ઇન્દુભાઇ આજે પણ અનેક સંસ્થાઓને આર્થિક મદદ કરી રહ્યા છે. રાજકોટમાં આવેલા સદર સંઘમાં ઇન્દુભાઇનાં યોગદાનથી આજીવન કાયમી ચોવિહાર હાઉસ અને વૈયા વચ્ચ ખાતું ચાલી રહ્યું છે. તાજેતરમાં જ રાજકોટમાં બનેલી જૈન બોર્ડીંગમાં પણ ઇન્દુભાઇએ ઘણું યોગદાન આપ્યું છે.
રશ્મીકાન્ત મોદી : શિક્ષણનાં ગુરુ તરીકે જાણિતા રશ્મિકાંત મોદીનું નામ શૈક્ષણિક જગતમાં ભારે આદર સાથે લેવાય છે. તેઓ માત્ર મોદી સ્કુલ્સનાં મેનેજીંગ ટ્રસ્ટી જ નથી પણ નવી પેઢીના પથદર્શક પણ છે. ટોચની એન્જિયરિંગ કોલેજ કે મેડીકલ કોલેજમાં એડમીશનની વાત હોય કે પછી સી.એ. અથવા સી.એસ.માટેની વાત હોય, મોદી સ્કુલના વિદ્યાર્થીઓને માનપૂર્વક જોવામાં આવે છે. અહી વર્ષ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, સ્કાઉટ ગાઈડ પ્રવૃતિઓ, વિદ્યાર્થીઓને વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ અને હોસ્પિટલોની મુલાકાત, વૃક્ષારોપણ, નવકારમંત્ર ગાન, યોગા-પ્રાણાયામ જેવી ઈતર પ્રવૃત્તિ પણ થાય છે જૈન ધર્મના સિદ્ધાંતોને અનુસરતા રશ્મિકાંતભાઈ મોદીની સ્કુલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ લસણ-ડુંગળી કે બટેટા પણ નથી ખાતા. જૈન વિઝન સંસ્થા આજે રશ્મિકાંતભાઈ મોદીનું સન્માન કરવા જઈ રહી છે ત્યારે એટલું ચોક્કસ કહેવું પડશે કે તેઓ માત્ર અચ્છા શિક્ષણ શાસ્ત્રી જ નથી પરંતુ સારા સ્ટુડન્ટ પણ રહી ચુક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફીઝીક્સમાં સ્પેસ સાયંસ વિષયમાં પીએચ.ડી. કરનાર તેઓ સૌ પ્રથમ વિદ્યાર્થી હતા. તેઓ ગુપ્ત દાનમાં માને છે અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે.
અપૂલભાઈ દોશી : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડાયાબિટીસ બાળકો માટે બે દાયકાથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ડાયાબીટીસ બાળકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. અપુલભાઈ દોશી અને અન્ય સેવાભાવી લોકો આ સંસ્થાનું સંચાલન કરે છે. આ સંસ્થામાં ટાઈપ વન ડાયાબિટીસથી પીડિત અત્યારે 2000 બાળકો છે. જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેનું નામ ‘એક નિરંતર અભિયાન’ છે. આ અભિયાન અંતર્ગત ટાઈપ-1 ડાયાબિટીસને લઈને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ ફાઉન્ડેશન દ્વારા દાતાઓની મદદથી 500થી વધારે બાળકોને દિવસમાં 3થી 4 વખત ઇન્સ્યુલિન આપવામાં આવે છે. 3-4 વાર બ્લડ ચેક કરવામાં આવે છે. જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટમાં એક ભવનનું નિર્માણ કરી તેમાં એજ્યુકેશન રીસર્ચ સેન્ટર સ્થાપવાની ઈચ્છા પણ ધરાવે છે. જૈન વિઝન આવી સંસ્થાને બિરદાવે છે અને તેમને સફળતા મળે તેવી કામના કરે છે.
મયુરભાઈ શાહ : જૈન શ્રેષ્ઠી મયુરભાઈ શાહને સેવાના પર્યાય કહેવા જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે રાજકોટમાં સેવાની કોઈ પણ પ્રવૃત્તિ હોય તેમની પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા હોવાની જ …મયુરભાઈ પરગજુ સ્વભાવ ધરાવે છે એટલે સેવાના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા છે. સાધુસંતોની વૈયાવાચ્યમાં હંમેશા અગ્રેસર મયુરભાઈ ઉપર અનેક સાધુ-સંતોના આશીર્વાદ વરસતા રહે છે અને તેમને સેવા પ્રવૃત્તિ કરવાનું બળ પૂરું પાડતા રહે છે. તેઓ હાલમાં ભાજપના કોષાધ્યક્ષ તો છે જ પણ પંચનાથ ચેરીટેબલ હોસ્પિટલમાં પણ સેવા આપી રહ્યા છે. તેઓ મૂંગા પશુ-પક્ષીઓની સારવારમાં પણ આગળ રહે છે. તેમને માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે ભોજનાલય પણ ચાલે છે. મયુરભાઈ શાહ વિશ્વ વણિક સંગઠન, દશાશ્રીમાળી જૈન સમાજ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, સ્થાનકવાસી જૈન શેઠ ઉપાશ્રય જેવી સંસ્થા સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ જૈન વિઝનનાં માર્ગદર્શક પણ છે.
સુનિલભાઈ કોઠારી : જેમણે સમાજસેવાનું જ પ્રણ લીધું હોય તેમને સેવાના સારથી કે પછી સેવાના ભેખધારી પણ કહી શકાય. સુનિલભાઈ કોઠારી એક એવી વ્યક્તિ છે જેમણે જીવનના પાંચ દાયકા કરતા પણ વધુ સમય સમાજ માટે ખર્ચી નાખ્યો છે.
1972થી સંઘનાં સ્વયં સેવક રહેલા સુનિલભાઈ કોઠારીની જન્મભૂમી અને કર્મભૂમિ રાજકોટ જ છે. રાજકોટમાં સરગમ કલબ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થામાં વરસો સુધી સેવા આપનાર સુનીલભાઈએ પંચવટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં પણ સેવા આપી છે. એટલું જ નહી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી કમિટીમાં પણ સભ્ય પદે સેવા આપી છે. જૈન સોશિયલ ગ્રુપ મીડટાઉન અને યુવામાં યુવક યુવતીના પરિચય મેળા યોજેલા છે અને જૈન વિઝન સંસ્થામાં પણ સક્રિય કાર્યકર તરીકે સેવા આપી છે. જેમનો દિવસ સેવાકાર્યોથી શરુ થાય છે અને સેવાકાર્યો કર્યા પછી જ રાત પડે છે તેવા સુનીલભાઈ કોઠારીનું સન્માન કરતા જૈન વિઝન સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે.