42 દિવસમાં ઇસ્યુ કરેલી 139 NOCમાં કોની પાસેથી કેટલા કટકટાવ્યા તે અંગે તપાસ
ટ્રેપ વખતે ટેબલ પરથી મળેલા 50 હજાર પણ લાંચના જ હોવાની દ્રઢ શંકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મહાનગરપાલિકામાં આવેલ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂએ ચાર્જ સાંભળ્યાના 42 દિવસમાં જ પોતાનું પોત પ્રકાશી ફાયર એનઓસી માટે વેપારી પાસેથી રૂ.3 લાખની લાંચ માંગી હતી.
- Advertisement -
જેનો પ્રથમ હપ્તો રૂ.1.20 લાખ સ્વીકારી લીધાં બાદ બીજા હપ્તો રૂ.1.80 લાખ વેપારી પાસેથી આરએમસીની ઓફિસમાં જ લાંચ લેતાં રંગેહાથ જામનગર એસીબીએ દબોચી લીધો હતો. બાદમાં એસીબીની ટીમે તેમના રાજકોટ અને ભુજ સ્થિત આવાસે દરોડા પાડ્યા હતાં. ત્યાંથી કંઈ વાંધાજનક મળ્યું ન હતું. પરંતુ તેમના ટેબલમાંથી વધું રૂ.50 હજાર મળતાં તે પણ લાંચના જ હોવાની શક્યતાને આધારે તપાસ હાથ ધરી હતી રાજકોટમાં રહેતા અને ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા અરજદારે એક ઈમારતમાં કરેલ ફીટીંગ અંગેનું ફાયર એનઓસી લેવાનું હોય જે અંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ બેચરભાઈ મારૂનો સંપર્ક સાધ્યો હતો.
તેણે 3 લાખની લાંચ માંગી હતી જે તે વખતે રૂ.1.20 લાખ ચૂકવી દીધા બાદમાં બાકી રહેતા રૂ.1.80 લાખ અરજદાર આપવા માંગતા ન હોય જેથી એસીબીમાં ફરીયાદ કરી હતી. હરકતમાં આવેલ એસીબીના ઇન્ચાર્જ નિયામક કે.એચ. ગોહિલે ટ્રેપને સફળ બનાવવા જામનગર એસીબી પીઆઈ આર.એન.વિરાણી અને ટીમને જવાબદારી સોંપતા ટીમે મનપાની સેન્ટ્રલ ઝોન ફાયર કચેરી બહાર છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ રૂ. 1.80 લાખ આપતા જ તેમની સાથે અરજદારના સ્વાંગમાં રહેલ એસીબી સ્ટાફે ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને લાંચ લેતા રંગેહાથ દબોચી લીધો હતો.
રાજકોટ એસીબીની ટીમે ગઈકાલે અનિલ મારૂને કોર્ટમાં રજૂ કરતાં તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયાં હતાં. અનિલ મારૂની ઓફિસમાંથી વધું રૂ.50 હજાર રોકડા મળતાં તે પણ લાંચના હોવાની શક્યતાના આધારે તપાસ હાથ ધરી હતી. જો કે, હાલ અનિલ મારુએ એસીબી સામે મૌન સેવી લીધું છે. 42 દિવસના ટૂંકા સમયગાળામાં 139 જેટલી ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવી હોય તેમાં કોની પાસેથી કેટલા રૂપિયા લાંચ રૂપે લીધા હતા તે જાણવા તમામ એનઓસી મેળવનારનો સંપર્ક કરી તમામને નિવેદન નોંધવા એસીબી દ્વારા રૂબરૂ બોલાવવામાં આવશે તેમજ એસીબીએ જ્યારે દરોડો પાડ્યો ત્યારે ટેબલ ઉપરથી વધુ 50 હજાર રૂપિયા મળી આવ્યા હતા તે પૈસા અંગે મારુને પૂછતાં કોઈ સ્પષ્ટતા કરી ન હોય જેથી તે પૈસા પણ લાંચના જ હોવાની દ્રઢ શંકાએ તપાસ હાથ ધરી છે.



