આપ તૂટવાનો સિલસિલો ચૂંટણી સુધી ચાલી શકે છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે હવે સત્તાના લાલચુ નેતાઓમાં પક્ષ પલટો કરવાની મૌસમની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે ભાજપે વિપક્ષના નેતાઓને ખડેવવાની શરૂઆત કરી છે. ગુજરાતના રાજકારણમાં અત્યારે ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે આદમી પાર્ટીમાંથી વિજય સુવાળાએ ભાજપમાં પાટલી બદલી છે, જ્યારે આજે ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપ છોડી દીધું છે.
આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી અને પક્ષની વફાદારીને ધ્યાનમાં રાખીને ગુજરાતની જનતાએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને એક તક આપી છે. અત્યારે આપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષ પલટો કરે કે પ્રજાને ભૂલી જશે તો જનતા તેમને ફેંકી દેશે. જેનું સૌથી મોટું ઉદાહરણ કૉંગ્રેસ છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પક્ષપલટો કરવા લાગતા ગુજરાતની જનતાએ જાકારો આપી દીધો છે. હવે, આપની પણ આવી જ હાલત થઈ રહી છે, તેવો પ્રજામાં સુર ઉઠ્યો છે. હવે આપ તૂટવાનો સિલસિલો ચૂંટણી સુધી ચાલી શકે છે. ગુજરાતમાં આપની રાજકીય સ્થિતિ પણ કૉંગ્રેસ જેવી થઈ શકે છે.
- Advertisement -
આપમાં ભંગાણની શરૂઆત સુરતથી જ થઈ
આપમાં ભંગાણની શરૂઆત સૌથી પહેલા સુરત જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયાના ભાજપમાં જોડાવાથી થઈ હતી. તેઓ તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ-કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા હતા. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 27 બેઠક જીતી પોતાનો ગઢ બનાવવાના જે સપના જોયા હતા, તે એકદમ વિખેરાઈ ચુક્યા છે.
કોંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જતા રહેતા નેતાઓથી જનતા ત્રાસી ઉઠી છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસનો જનતાએ એકદમ સફાયો કરી દીધો હતો, તેનું મુખ્ય કારણ કૉંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પક્ષ પલટો હતો. ગુજરાતની પ્રજાએ રંગે- ચંગે કૉંગ્રેસના ઉમેદવારોને મતદારો મત આપીને પ્રતિનિધિ બનાવે છે અને થોડાક જ સમયમાં આ પ્રતિનિધિઓ અધવચ્ચે પક્ષ પલટો કરી રાજીનામુ આપી જનતાના માથે વારંવાર ચૂંટણી થોપી દે છે. કોંગ્રેસે સત્તા માટે જનતા સાથે દ્રોહ કર્યો હતો, જેથી જનતા પણ ત્રાસી ગઈ હતી.
જો આપ કોંગ્રેસના રસ્તે જશે તો પ્રજા માફ નહીં કરે
કૉંગ્રેસના નેતાઓની આવી વૃત્તિ અને પ્રવૃત્તિના કારણે પ્રજાએ કોંગ્રેસને ઘર ભેગી કરી છે. જો કોંગ્રેસના રસ્તે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પણ જશે તો ગુજરાતની પ્રજા એને પણ માફ નહીં કરે. એટલે આપના પ્રતિનિધિ માટે શાખ સાચવવી ઘણી અઘરી બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાથી માંડીને રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા વિપક્ષના સભ્યોને ભાજપમાં ભેળવી દેવાની ભાજપની એક સ્ટ્રેટેજી રહી છે.
- Advertisement -
વિપક્ષ વિના જ સત્તામાં રહેવું ભાજપની સ્ટ્રેટેજી
ગત ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બહુમતી તો મેળવી લીધી છે, પણ તેમનો ટાર્ગેટ વિપક્ષ વિનાની સત્તા મેળવવાનો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ભાજપ વિપક્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને યેન- કેન પ્રકારે ભાજપમાં લાવી દેવા હવે અત્યંત લાલચી બની ગયો છે.
આપના પ્રતિનિધિઓ પણ કોંગ્રેસ જેવા પાટલી બદલુ હોવાનો ભાજપનો મત
ભાજપને હાલ સૌથી મોટો ડર સુરતમાં આપની એન્ટ્રીથી લાગ્યો છે, તેથી ભાજપના રણનીતિકારો હવે આપના પ્રતિનિધિઓને ભાજપ તરફ લાવવા માટે એડી- ચોટીનું જોર લગાવી ભાજપમાં પ્રવેશ આપી જનતામાં એવો વાયરો ફેલાવવા માંગે છે કે, આપના પ્રતિનિધિઓ પણ કૉંગ્રેસ જેવા જ ધોકેબાઝ જ છે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા જ આપની એન્ટ્રી પર પ્રજા રોક લગાવી શકે અને એનો પ્રારંભ પણ સુરતથી જ થઈ ગયો છે.
સુરતથી શરૂ થયેલો આપનો પાટલી બદલુઓનો સિલસિલો હવે સતત આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં આપના મોટા નેતા વિજય સુવાળાને પણ મોહભંગ તો થયો પણ એમણે ભાજપનો ખેસ પહેરી લીધો છે. હવે ભાજપ ચૂંટણી સુધી આપને બદનામ કરી દે તો નવાઈ નહીં.
વિપક્ષ નિષ્ફળ હોવાનો માહોલ બનાવવાની ભાજપની ઉંધી સ્ટ્રેટેજી
ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભા થઈ રહેલી આમ આદમી પાર્ટી પણ ભાજપની રાજનીતિમાં ફસાઈ ગઈ છે. આ જોતા તો આગામી દિવસોમાં આપની હાલત પણ કોંગ્રેસ જેવી કરવાની ભાજપની ગૂઢ રાજકીય ગણતરી સફળ થઈ રહી છે. ભાજપ નવી નવી સ્ટ્રેટેજીસ અજમાવીને સત્તા પર ટકી રહી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ભાજપ અત્યારે પ્રજામાં પગ પેસારો કરી રહેલા આપને પતાવવા માટે ‘પ્રજાદ્રોહ’ નામના નવા રાજકીય હથિયારનો ઉપયોગ કરી રહ્યો છે. જેમાં જે તે રાજકીય પક્ષના મોટા માથાંઓને યેનકેન પ્રકારે ભાજપનો ખેસ પહેરાવી દેવાનો અને આવાં નેતાઓને જાહેરમાં જૂની પાર્ટીના ભાંડા ફોડવામાં ઉપયોગ કરવામાં આવે છે, એટલું જ નહીં, ગુજરાતમાં હાલ તમામ વિપક્ષ નિષ્ફળ હોવાથી તેમના જ નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે, તેવો ભ્રમિત માહોલ ભાજપ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.


