યાત્રિકોને કપાળ પર તિરંગાનુ ત્રિપુંડ કરવામાં આવ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
દેશની આઝાદીના 75મા વર્ષની ખુશીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન પર સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ યાત્રાધામમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને આત્મસાત કરવામાં આવ્યું છે. સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં દરેક ભવન પર તિરંગો લેહરાઈ રહ્યો છે. ધર્મભક્તિ અર્થે આવતા તમામ યાત્રિકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે.દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં રાષ્ટ્રીય ભાવનાની નવી લહેર દોડી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહુસ્તરીય કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને 3ડી લાઇટિંગની મદદથી તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે. સોમનાથના ધ્વજથી માંડીને મુખ્ય શિખર કેસરી રંગની, મધ્ય ભાગમાં સફેદ, અને પ્રવેશદ્વાર અને નીચેના ભાગને લીલા રંગની રોશનીથી પ્રકાશિત કરાયો છે, જેના કારણે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને ધર્મની સાથે દેશભક્તિની અનુભૂતિ થાય છે. આ સાથે સોમનાથ ટ્રસ્ટની તમામ ઈમારતો અને ગેસ્ટ હાઉસ પર દેશનો તિરંગો ગર્વભેર લહેરાવવામાં આવ્યો છે.
- Advertisement -
સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગા અભિયાનને લગતા આકર્ષક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સોમનાથ સમુદ્ર દર્શન વોકવે પર વિશાળ ત્રિરંગા લગાવવામાં આવ્યા છે, જેમાં ત્રિરંગાઓની મધ્યમાં તિરંગા રંગે જય સોમનાથ લખવામાં આવ્યું છે. જેના કારણે આ સ્થળ પ્રવાસીઓમાં સૌથી પ્રખ્યાત સેલ્ફી પોઈન્ટ બન્યુ છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી તમામ કર્મચારીઓને તિરંગા આપવામાં આવ્યા છે, જેને કર્મચારીઓ તેમના ઘરે લહેરાવી શકશે. તમામ કર્મચારીઓ ત્રિરંગો લહેરાવીને પોતાની સેલ્ફી લેશે અને ટ્રસ્ટને આપશે, જેમાંથી એક મોટો ફોટો કોલાજ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવશે. ટ્રસ્ટના આ કાર્યોને કારણે સોમનાથ તીર્થમાં દેશભક્તિ સાથે દેશભક્તિનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે.સોમનાથ ટ્રસ્ટે સ્થાનિક પંડિતોના સહયોગથી દર્શને આવતા યાત્રિકો માટે ભક્તિ સાથે દેશભક્તિનો અવિસ્મરણીય અનુભવ આપવા માટે દરેક કપાળ પર ત્રિરંગા સેવા શરૂ કરી છે. સોમનાથના દર્શન કરવા આવતા યાત્રિકોને કેસરી, સફેદ અને લીલા રંગનુ ત્રિપુંડ કરી આપવામાં આવે છે. તમામ ભક્તોને એવી ઈચ્છા હોય છે કે તેમના કપાળ પર મહાદેવનું પ્રિય ત્રિપુંડ હોય. પરંતુ જ્યારે આ ત્રિપુંડ ભારતના ત્રિરંગાના રંગોથી કરવામાં આવે છે ત્યારે ભક્તોને શિવભક્તિની સાથે દેશભક્તિનો અવિસ્મરણીય અનુભવ થાય છે.