વર્ષોથી થતી નિયમાનુસારની ચૂંટણી પ્રક્રિયા સામે કોઇ વચગાળાની રાહત કે સ્ટે નહીં : ચૂંટણી કેન્દ્ર સરકારના આદેશ મુજબ જ થશે
અરજદારનો હેતુ લકઝરી લિટિગેશન ઉભો કરવાનો જ દેખાય છે : નામદાર હાઇકોર્ટનું અવલોકન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી પ્રક્રિયા તા. 18-10-2024ને શુક્રવારથી થવા જઇ રહેલ છે. જેનું જાહેરનામુ તા. 4-10-2024ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. તાજેતરમાં થયેલ નવા કાયદા મુજબ હવેથી મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ બેંકની ચુંટણી કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી (ન્યુ દિલ્હી) દ્વારા કરાવવામાં આવશે. આ નવા નિયમ મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ડિરેકટરોની ચુંટણી કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી (ન્યુ દિલ્હી) દ્વારા થશે. જે અંતર્ગત કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી દ્વારા રાજકોટ જીલ્લા કલેકટરશ્રીને રીર્ટનીંગ ઓફિસર તરીકે નિયુક્ત કરેલ છે. આ દરમિયાન કેટલાક શેર હોલ્ડરો પૈકી મહેન્દ્રભાઇ શેઠ, શુભમ વિબોધભાઇ દોશી, અભય ઠક્કર સહિત અન્ય ત્રણ દ્વારા આ ચુંટણી પ્રક્રિયામાં અડચણો ઉભી કરવા માટે વર્ષોથી કાયદાનુસાર થતી ચુંટણી પ્રક્રિયા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલ.
કાયદાકીય જોગવાઇ અનુસાર વર્ષોથી થતી ડિરેકટરોની ચુંટણી કે જેમાં બેંકના ડેલિગેટ ભાગ લઇ શકે છે. સેન્ટ્રલ રજીસ્ટ્રાર દ્વારા માન્ય ડેલિગેટ સીસ્ટમ 2003થી અમલમાં છે. તે ડેલિગેટ સીસ્ટમને ચેલેન્જ કરતી અરજી અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ. જેની સુનાવણી નામદાર જસ્ટીસ અનિરૂદ્ધ માયી સાહેબની કોર્ટમાં ચાલેલ. જેમાં હીયરીંગ દરમિયાન અરજદારોની દલીલો સાંભળી કોર્ટને દલીલમાં તથ્ય ન જણાતા અરજદારોની ઝાટકણી કાઢી ચુંટણી
સામે કોઇપણ જાતનો મનાઇ હુકમ આપેલા નથી.
ડેલિગેટ પ્રથા નિયમાનુસાર નથી અને સમગ્ર ચુંટણી પ્રક્રિયાને ખોરંભે ચડાવવાના બદઇરાદે થયેલ અરજી ઉપર નામદાર હાઇકોર્ટે કોઇ વચગાળાનો સ્ટે કે અન્ય કોઇ દાદ ન આપી આવા અરજદારના લકઝરી લીટીગેશનને ઉડાડી દેતા ચુંટણી પ્રક્રિયા જાહેર થયેલ ચુંટણી કાર્યક્રમ મુજબ જ આગળ વધશે તે સુનિશ્ર્તિ થઇ ગયેલ છે. વિશેષમાં, અરજદાર પૈકી મહેન્દ્રભાઇ શેઠ, જે પેટ્રીયા હોટલમાં મેનેજર છે. જેમના ઘરમાં જ તેમના પુત્રવધુ ડેલિગેટની ચુંટણી લડીને ડેલીગેટ બનેલ છે. તે લોકો જ વર્ષો જુની નિયમાનુસારની પરંપરાને તોડીને ચુંટણીમાં અવરોધ ઉભા કરવાના હેતુથી નામદાર હાઇકોર્ટ સુધી દોડી ગયા હતા. આવી જ રીતે અન્ય એક અરજદાર શુભમ દોશી છે જે બેંકમાંથી સજા પામેલ કર્મચારી વિબોધભાઇ દોશીના દીકરા છે અને બેંક પ્રત્યે દ્વેષભાવથી તેના દીકરાને અરજદાર બનાવેલ છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. વિરૂદ્ધ કેટલાક બેંકના ડિફોલ્ટરો, હિતશત્રુઓ, જુના અને સજા પામેલ કર્મચારીઓનો શંભુમેળો યેનકેન પ્રકારે બેંકને બદનામ કરવાના હેતુથી ચુંટણી સમયે જ બેંકનો જશ ખાટવા, કેટલાક લોકોને મહોરૂં બનાવીને ચુંટણી પાછી ઠેલવા પ્રયત્ન કરતા હતા. તેમને નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી લપડાક મળી છે.
બેંકની કાયદાકીય તથા બાય-લોઝની જોગવાઇ મુજબ બેંકના તમામ ડેલિગેટશ્રીઓ ડિરેકટરની આવનારી ચુંટણીમાં ભાગ લઇ શકશે. સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં રીટર્નીગ ઓફિસર તરીકે જીલ્લા કલેકટરશ્રી, રાજકોટની નિમણુંક કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી દ્વારા કરવામાં આવેલ છે.
ખાસ તો, નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાતી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક છે. વિશાળ નાગરિકજનોનો પરિવાર ધરાવતી બેંકે તાજેતરમાં જ 72મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અવિરત પ્રગતિ કરતી બેંકની કુલ 38 શાખાઓ કાર્યરત છે.