ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો ઉત્તમ દિવસ એટલે મહા શિવરાત્રી.
મહા શિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહા શિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. મહા શિવરાત્રીની કથા કઈક એવી છે કે, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે એક દિવસ બોલાચાલી થઈ જતા ભીષણ યુદ્ધ શરૂ થયું. આ અનર્થથી ડરીને દેવતાઓએ યુદ્ધને અટકાવવા શિવજીને વિનંતી કરી. શિવજી અગ્નિના થાંભલા રૂપે બ્રહ્માજી અને વિષ્ણુની વચ્ચે ઉભા રહી ગયા અને યુદ્ધ અટકી ગયું. ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીની આરાધના શરૂ કરી.
તેમની આરાધનાથી પ્રસન્ન થઈને શિવજીએ કહ્યું કે આજનો શુભ દિવસ ખૂબ જ પવિત્ર, દિવ્ય અને માંગલિક છે અને આજથી આ દિવસ શિવરાત્રીના નામે પૂજાશે. તેમણે કહ્યું, જે દિવસે હું પ્રગટ થયો તે માઘ એટલે કે મહા મહિનાની રાત્રીએ આદ્રા નક્ષત્ર હતું તેથી આ માસમાં આદ્રા નક્ષત્રમાં ઉપવાસ અને જાગરણ કરી વ્રત રાખશે તેને અક્ષય એટલે કે ઉત્તમ પુણ્ય મળશે. ત્યારથી આ પર્વને મહા શિવરાત્રીના નામથી ઉજવવામાં આવે છે. એક અન્ય કથા કઈક આવી છે કે, એક પારધી શિકાર કરવા જંગલમાં ગયો. આખો દિવસ વનમાં ભટક્યા છતાં પણ શિકાર ન મળ્યો. તેણે વિચાર્યું કે ખાલી હાથે ઘરે પાછો જઈશ તો મારી પત્ની અને બાળકો શું વિચારશે? આમ કરતા રાત પડી ગઈ. તેથી તે એક તળાવના કાઠે બીલીનું વૃક્ષ હતું તેના પર ચઢીને બેસી ગયો. તેને લાગ્યું કે તળાવનું પાણી પીવા કોઈ પ્રાણી આવશે. પારધી જે વૃક્ષ પર ચઢીને બેઠો તેની નીચે એક શિવલિંગ હતું તેની તેને ખબર નહોતી. તે આખી રાત શિકારની રાહ જોતા બીલીના પાન તોડી તોડીને નીચે નાખતો ગયો અને એ બીલીપત્ર શિવલિંગ ઉપર પડતા ગયા. અજાણતાએ શિવલિંગની પૂજા કરતો ગયો. એટલીવારમાં હરણાંઓ ત્યાં પાણી પીવા આવ્યા અને તેમને જોઈ શિકારી ખુશ થઇ ગયો અને બાણ ચડાવ્યું. તે જોઈ હરણાંએ તેની પાસે આવીને કહ્યું, અમને અત્યારે ના મારશો અમારા બાળબચ્ચા અમારી રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
અમને મારવા જ હોય તો અમારા પૂરા પરિવારને સાથે મારો. અમે સવારે સૂર્યોદય પહેલા સમગ્ર પરિવાર સાથે અહી આવી જઈશું પરંતુ અત્યારે અમને જવાની રાજા આપો. કોઈ કારણસર પારધીને હરણ પર દયા આવી. તેનું હૃદય પીગળી ગયું અને તેણે હરણને કહ્યું, સારું અત્યારે તો હું તમને જવા દઉ છું પરંતુ તમારે જલ્દી જ પાછા આવવું પડશે. હરણા ત્યાંથી જતા રહ્યા અને શિકારી તેમની રાહ જોતો ફરી બીલીના પાન શિવલિંગ પર નાખતો ગયો. સવાર થવાની તૈયારી જ હતી અને હરણા પોતાના પૂરા પરિવાર સાથે આવીને ત્યાં ઉભા રહી ગયા. પારધીના આનંદનો પાર ન રહ્યો. તેમની વચનબદ્ધતાથી એ ખૂબ જ પ્રસન્ન થઇ ગયો. શિવલિંગની અજાણપણે થયેલી પૂજાથી એનું હૃદય પીગળી ગયું અને પ્રાણીઓની મહાનતાને એને મનોમન પ્રણામ કર્યા. પારધીની બુદ્ધિ બદલાઈ ગઈ અને હરણાઓને એણે પાછા જવા દીધા. આખી રાત શિવલિંગ પર કરેલા બીલીપત્રના અભિષેકના કારણે પારધીની બુદ્ધિમાં પરિવર્તન આવ્યું એટલે કે, અજાણપણે કરેલી પૂજાથી જો મનુષ્યનું મન આટલું બદલાઈ જતું હોય તો સમજણપૂર્વક વિધિસર આ વ્રત કરવાથી માનવજીવન સાર્થક બને છે.


