માધાપર ચોકડીએ નિર્માણાધિન બ્રિજમાં સુપરવાઈઝરની ગેરહાજરી : બ્રિજનાં નિર્માણમાં અનેક ખામીઓ બહાર આવી
સુરતની સી.આર.પી. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડનાં સી.આર. પટેલે અધિકારી-પદાધિકારીઓ સાથે મળી મોટી ગોલમાલ કરી
થોડા દિવસો અગાઉ રાજકોટની માધાપર ચોકડી પાસે મોડીરાત્રે નવા બની રહેલા ઓવરબ્રિજનું કાચું બાંધકામ નમીને ધરાશાયી થયું હતું. જેમાં આ ઓવરબ્રિજ નિર્માણનો કોન્ટ્રાક્ટ ધરાવનાર સુરતની સી.આર.પી. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડ એજન્સી અને તેના માલિક સી. આર. પટેલની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઉપરાંત તંત્રની ગોલમાલની પણ પોલ ખૂલી છે. માધાપર ચોકડીએ બની રહેલા ઓવરબ્રિજનાં નિર્માણમાં એજન્સી અને તંત્ર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
સુરતની સી.આર.પી. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડ એજન્સીના સી. આર. પટેલ દ્વારા માધાપર ચોકડી પાસે બની રહેલા ઓવરબ્રિજ ધરાશાયી થયા બાદ આ સમગ્ર ઘટના અંગે ખાસ-ખબરે કરેલી ખાસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે, આ કામમાં ટેન્ડર મુજબ જરૂરી સાઈટ એન્જીનીયર રાખવામાં આવ્યા નહતા. જે શેડ્યુલ સી મુજબ રાખવા જોઈએ. આ ઉપરાંત કોંક્રીટનાં કામ વખતે જરૂરી સ્લંપ રજીસ્ટર, સ્ટીલ રજીસ્ટર, સિમેન્ટ રજીસ્ટર નિભાવવાનું હોય છે, જે આ સાઈટ પર નિભાવવામાં આવ્યા ન હતા અને કામના બીલ વખતે બનાવાય છે તેમજ કોંક્રીટના ગ્રેડની ડીઝાઈનમાં જણાવ્યા મુજબ જરૂરી સ્લંપ મળતો ન હતો. આ બાબતે રૂબરૂ સ્થળ વિઝીટ કરી જાણી શકાય તેમ છે. આટલું જ નહીં પરંતુ સર્વિસ રોડમાં મેટલીંગ કર્યા પહેલાં ફિલ્ડ ડેન્સિટી ટેસ્ટ કરવો જોઈએ. આ ટેસ્ટ કર્યા વગર જ મેટલીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તદુપરાંત ફાઉન્ડેશનનાં પાયામાં ટ્રેન્ચ ફિલિંગ માટે ક્રોંકીટ કરવાનું હોય છે પરંતુ તેની જગ્યાએ માટી નાખવામાં આવી હતી. આવી તો અનેક ખામીઓ આ ઓવરબ્રિજનાં નિર્માણ દરમિયાન જણાય આવે છે.
ઉલ્લેખનીય છે કે, માધાપર ચોકડી પાસે બની રહેલા આ ઓવરબ્રિજની બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઈવે પર હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર થતી હોય છે. જો બાંધકામ આ હાઈવે પર પડત તો અનેક વાહનચાલકોના જીવ જોખમાતા પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. આમ છતાં રાત્રીના સમયે બનેલી આ દુર્ઘટનામાં બે મજૂરને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નમી પડતા રાતોરાત અધિકારીઓ દોડી ગયા હતા અને જેસીબી સહિત મશીનરીથી બાંધકામ સરખું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેથી પોતાની ભૂલ પર પડદો પાડી શકાય. નોંધનીય છે કે, આ દુર્ઘટના બાદ હજુ સુધી સુરતની સી.આર.પી. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડ એજન્સી કે સી. આર. પટેલ પર કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
શા માટે સર્જાયો અકસ્માત? કમિશન પદ્ધતિ ડામવાનું જરૂરી
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આવા પ્રોજેક્ટમાં નબળું કામ થવાનું મુખ્ય કારણ કમિશન પદ્ધતિ છે. આવા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર કંપનીએ સ્થાનિક કોર્પોરેટરથી લઈને સત્તાધિશો અને અધિકારીઓ-પદાધિકારીઓ સુધીનાં અનેક લોકોને ટકાવારીમાં કમિશન પહોંચાડવાનું હોય છે. આવી ભૂંડી સિસ્ટમને લીધે જ કામની ગુણવત્તામાં સમાધાન થાય છે- જેને કારણે છેવટે પ્રજાને હાલાકી ભોગવવાની રહે છે.