સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે આસામ સમજૂતીને આગળ ધપાવવા માટે 1985માં સુધારા દ્વારા નાગરિકતા કાયદાની કલમ 6Aની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાન્ત, એમએમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ બહુમતી ચુકાદો સંભળાવ્યો, જ્યારે જસ્ટિસ જેબી પારડીવાલાએ અસંમતિ દર્શાવી. 1 જાન્યુઆરી, 1966 અને માર્ચ 25, 1971 વચ્ચે આસામ આવેલા બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને નાગરિકતાના લાભો આપવા માટે 1985માં આસામ સમજૂતીમાં કલમ 6Aનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આવો જાણીએ શું કહ્યું CJIએ ?
- Advertisement -
CJI ચંદ્રચુડે કહ્યું કે, બહુમતીનો નિર્ણય એ છે કે નાગરિકતા કાયદાની કલમ 6A બંધારણીય રીતે યોગ્ય છે. જસ્ટિસ પારડીવાલાએ કાયદામાં થયેલા સુધારાને ખોટો ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે, બહુમતીએ સુધારાને સાચો ગણાવ્યો છે. એટલે કે 1 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ, 1971 દરમિયાન બાંગ્લાદેશથી આસામ આવેલા લોકોની નાગરિકતા પર કોઈ ખતરો નહીં હોય. આંકડા મુજબ આસામમાં 40 લાખ ગેરકાયદેસર વસાહતીઓ છે. પશ્ચિમ બંગાળમાં આવા લોકોની સંખ્યા 57 લાખ છે, તેમ છતાં આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને ત્યાં માટે અલગ કટ-ઓફ તારીખ બનાવવી જરૂરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે 25 માર્ચ 1971ની કટ ઓફ ડેટ સાચી છે.
આ સરળ રીતે સમજો ચુકાદાને
સરળ શબ્દોમાં કહીએ તો 1985ના આસામ એકોર્ડ અને નાગરિકતા કાયદાની કલમ 6A ને SC દ્વારા 4:1 ની બહુમતી સાથે સમર્થન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 1 જાન્યુઆરી, 1966થી 25 માર્ચ, 1971 સુધી પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)થી આસામ આવેલા લોકોની નાગરિકતા અકબંધ રહેશે. તે પછી આવનારા લોકોને ગેરકાયદેસર નાગરિક ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને કટ ઓફ ડેટ કરવી યોગ્ય છે.
અરજદારની દલીલ શું હતી ?
અરજદારે દલીલ કરી હતી કે 6A ગેરબંધારણીય છે કારણ કે તે બંધારણના અનુચ્છેદ 6 અને 7ની તુલનામાં નાગરિકતા માટે અલગ-અલગ તારીખો નક્કી કરે છે જ્યારે બંધારણમાં સંસદને આવું કરવાની સત્તા છે. તેના પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું કે, દરેક નાગરિકે ભારતના કાયદા અને બંધારણને ફરજિયાતપણે સ્વીકારવું અને તેનું પાલન કરવું જોઈએ. નાગરિકતા આપતા પહેલા વફાદારીના શપથની દેખીતી ગેરહાજરી કાયદાનું ઉલ્લંઘન ન હોઈ શકે. કોર્ટે વધુમાં કહ્યું કે અમે દખલ કરવા માંગતા નથી. S6A કાયમી ધોરણે કામ કરતું નથી.




