રાજકોટમાં 10 બોકળાની પશુબલિ 11ની બલિ અટકાવતું વિજ્ઞાન જાથા
પોલીસવાન, રિક્ષામાં તોડફોડ: બે પોલીસમેનને ઇજા: 14 નામજોગ સહિત 200ના ટોળાં સામે ફરિયાદ: આગેવાન સહિત 14ની ધરપકડ
પશુ બલી અટકાવતાં ટોળું વીફર્યુ : રાયોટિંગ, હુલ્લડ, ફરજમાં રૂકાવટ, તોડફોડ સહિતનો ગુનો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટના ભાગોળે ગોંડલ ચોકડી પાસે, શિવ હોટલ પાછળની શેરીમાં દેવીપૂજક સમાજના આરાધ્ય દેવ રખાદાદા, મેલડી માતાના ધાર્મિક સ્થાને માંડવામાં 21 પશુબલીમાં 10 બોકળાની પશુબલી અને 11 ની પશુબલી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અટકાવતા ઘર્ષણ ઉભું થયું હતું. ભુવા સહિત પાંચ સામે વિધિવત ફરીયાદ નોંધવામાં આવી હતી. માનતાના નામે પશુ-પક્ષીની બલિ અટકાવવાની દેશવ્યાપી ઝૂંબેશ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ અને હુમલો કરનારાની અટકાયત કરવામાં આવી છે.
બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં હેમદિપ મારવણીયાએ નારાયણનગરના ભાવેશ અરજણ વીકાણી, રાજેશ પ્રેમજી ચુડાસમા, કાળુ વાલજી ગોરસવા, હાર્દિક હરી સોલંકી, ગોવિંદ બટુક સોલંકી, વિકી દામજી સોલંકી, રોહિત પરસોતમ પરમાર, સંદિપ પરસોતમ પરમાર, હિતેષ મનજી સોલંકી, સની મનજી સોલંકી, દિપક રમેશ જસાણીયા, રાહુલ સામત ડાભી, પ્રવિણ રવજી જાડેજા, પ્રકાશ રમેશ જસાણીયા અને અન્ય 150 થી 200 માણસોનો ટોળા સામે આજીડેમ પોલીસમાં રાયોટિંગ, હુલ્લડ, ફરજમાં રૂકાવટ, તોડફોડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા, ભાનુબેન ગોહીલ તથા તેના બીજા માણસો ગોંડલ રોડ, વેલનાથપરા શિવ હોટલ પાછળ દેવીપુજક સમાજનો રખાદાદાનો માંડવો હોય અને તેમાં પશુ બલી આપેલ હોય જેથી તે જગ્યાએ પીસીઆર વાન તથા સોલવન્ટ ચોકી સ્ટાફ તે જગ્યાએ જઈ કાયદેસરની કાર્યવાહી કરેલ અને વિજ્ઞાન જાથાના માણસોને મળી આવેલ પશુબલી બાબતની ફરીયાદ કરવા માટે પોલીસ મથકે મોકલી આપેલ હતા તે સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે કોન્સ્ટેબલ ચન્દ્રપાલભાઈ, હોમગાર્ડ રવિ ત્રિપાઠી, સોલવન્ટ ચોકી હેડ કોન્સ્ટેબલ અક્ષયરાજસિંહ રાણા, તેજપાલસિંહ સરવૈયા, કોન્સ્ટેબલ ગૌતમ રાઠોડ, રામજી ટાઢાણી, પ્રણાબેન, વસંતબેન સહિતનો સ્ટાફ ત્યાં હાજર હતો. ત્યાં દેવીપુજક સમાજના માણસોનું આશરે 150 થી 200નુ ટોળુ હાજર હતું. જેથી કાયદો વ્યવસ્થાની સ્થીતી બગડે નહી તે માટે તેઓને સમજાવતા હતા. દરમિયાન દેવીપુજક સમાજના આગેવાન ભાવેશ વિકાણી તેમજ તેની સાથેના માણસોને વિખેરાય જવાની સમજ કરતા હતા ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ ભાવેશ તેઓની સાથેના માણસોને ઉશ્કેરણી કરી ગેરકાયદેસર મંડળી રચી કહેવા લાગેલ કે, આ અમારી જ્ઞાતીના રીવાજ/પ્રથા હોય તમે કેમ અમારા સમાજને હેરાન કરો છો તેમ કહી બેફામ ગાળો બોલવા લાગેલ હતા જેથી પોલીસ સ્ટાફે તે લોકોને શાંતી રાખવા માટે સમજાવતા હતા તે વખતે ભાવેશએ મારો કાંઠલો પકડી ટોળાની વચ્ચે લઇ ગયેલ અને ભાવેશ અને ટોળાના માણસોએ ઢીકા-પાટુનો માર મારવા લાગેલ હતાં. તે વખતે ત્યા હાજર પોલીસ સ્ટાફ વચ્ચે પડેલ અને તેને વિખેરવા માટે પ્રયત્નો કરતા હતા તો આ ટોળાના માણસોએ તેને પણ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને પીસીઆર વાનમાં પથ્થરમારો કરવા લાગેલ હતા. જેથી પીસીઆર વાનના આગળનો કાચ તોડી નાખેલ હતો જેથી સ્ટાફે પોલીસ સ્ટેશનને જાણ કરી ડિ-સ્ટાફના માણસોને બોલાવેલ હતા દરમિયાન એએસઆઈ હારૂનભાઈ, રવિભાઇ વાંક, કોન્સ્ટેબલ જગદીશસિંહ વિગેરે દોડી આવી ટોળાને વિખેરાઇ જવા માટેનો પ્રયત્નો કરતા હતા તેમ છતા તે લોકો પથ્થર તથા ધોકા વાડે પોલીસ પાર્ટી ઉપર હુમલો કરતા હતા.
જેથી વધુ પોલીસ સ્ટફને બોલાવતા પીઆઈ એ.બી.જાડેજા બીજા પોલીસ સ્ટાફ સાથે આવી ગયેલ અને ટોળાને વિખેરાઇ જવા માટે સમજ કરવા છતા નહી વિખેરાતા હળવો લાઠીચાર્જ કરવામાં આવેલ હતો. તેમ છતા ટોળુ ઉશ્કેરાયેલ હોય અને લોકોને તથા લોકોની પ્રોપટીને ડેમેજ કરે તેવી ભીતી સાથે આગળ વધતુ હોય જેથી ટોળાને વિખેરવા માટે પીઆઈએ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ. પોલીસ સ્ટાફે ટોળામાં સામેલ દેવીપુજક સમાજની આગેવાન ભાવેશ તેમજ રાજેશ ચુડાસમા, કાળુ ગોરસવા, હાર્દિક હરી સોલંકી, ગોવિંદ સોલંકી, વિકી દામજી સોલંકી, રોહિત પરસોતમ પરમાર, સંદિપ પરસોતમ પરમારની સ્થળ પર જ ધરપકડ કરી અન્ય શખ્સોની ઓળખ મેળવી ધરપકડ કરવાં તજવીજ હાથ ધરી હતી.