માત્ર આરતી થશે, મંદિરના દર્શન યથાવત રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
વૈશ્વિક મહામારી કોરોનાના લીધે સતત બીજા વર્ષે પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય, ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ 60 વરસથી ચાલતી નવરાત્રી મુલતવી રખાઇ છે. જોકે નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે અને રાબેતા મુજબ દર્શન, આરતીના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ
લઈ શકશે.
જગતજનની માઁ અંબાના નામથી જે ગરબા સમગ્ર દુનિયા ભરમાં ગવાય છે ને રમાય છે. તે માઁ અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વએ ગરબા નહિ થાય. સરકારે 400 માણસોની પરવાનગી આપી છે પણ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થાય તેવી સંભાવનાના પગલે ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. 60 વર્ષથી મંદિરના ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતું નવયુવક પ્રગતિ મંડળ સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ નહીં યોજવા નિર્ણય લીધો હોવાનું નવ યુવક પ્રગતિ મંડળના પ્રમુખ મહેશભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ.