ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ દેશની સ્વતંત્રતા બાદ અરબ સાગરના કિનારે વિસર્જન પછી ગુજરાતમાં અરબસાગરના કિનારે તે સમયે ભગ્ન અવસ્થામાં રહેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટ વૃક્ષ બન્યો અને નાગર શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ સ્થાપત્યનું ભવ્ય સોમનાથ મંદિર સંપન્ન થયું. ત્યારબાદ આગળ જઈને ટ્રસ્ટ દ્વારા શિખર અને સભામંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે પ્રવર્તમાન સંપૂર્ણ સોમનાથ મંદિર 1 ડિસેમ્બર 1995 ના રોજ દેશના તત્કાલીને રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણના સ્મરણાર્થે પ્રતિ વર્ષ સોમનાથમાં 1 ડિસેમ્બર ને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શ્રી સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિતે સોમનાથ મહાદેવને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી તેમજ મંદિરમાં પૂજારીગણ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.