2023માં 1.7 લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત: ગુજરાત સહિતના રાજયોમાં દુર્ઘટનાની સંખ્યામાં વૃધ્ધિ : મોતને ભેટનારા 44 ટકા ટુ વ્હીલર ચાલકો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
રાજ્યો દ્વારા કેન્દ્ર સરકાર સાથે શેર કરાયેલ ડેટામાં જણાવાયું હતું કે 2023માં લગભગ 1.7 લાખ લોકો માર્ગ અકસ્માતમાં માર્યા ગયાં હતાં. તે લગભગ દરરોજ સરેરાશ 474 જીવ ગુમાવે છે અથવા લગભગ દર ત્રણ મિનિટે એકનું મૃત્યુ થાય છે. અકસ્માત પાછળનાં કારણોનું મૂલ્યાંકન કરવા માટે સરકારે રાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માતના ડેટાને એકત્રિત કરવાનું શરૂ કર્યું છે ત્યારથી એક વર્ષમાં મૃત્યુ પામેલાં લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ અને તેલંગાણા સહિત ઓછામાં ઓછાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માર્ગ અકસ્માતમાં વધારો નોંધાયો છે. આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, કેરળ અને ચંડીગઢ જેવાં રાજ્યોમાં મૃત્યુઆંકમાં નજીવો ઘટાડો થયો હતો.
ડેટા એ પણ દર્શાવે છે કે માર્ગ અકસ્માતને કારણે ગયા વર્ષે મહત્તમ 4.6 લાખ લોકો ઘાયલ થયાં હતાં, જે વર્ષ 2022 કરતા 4 ટકા વધુ હતાં.2022માં, માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પ્રકાશિત કરાયેલાં અહેવાલ મુજબ માર્ગ અકસ્માતોની સંખ્યા 1.68 લાખ હતી જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા એકત્રિત કરવામાં આવેલાં ડેટામાં મૃત્યુની સંખ્યા 1.71 લાખ હતી. બંને એજન્સીઓએ હજુ સુધી 2023 માટે માર્ગ અકસ્માતનો ડેટા પ્રકાશિત કર્યો નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, યુપીમાં ગયાં વર્ષે સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ નોંધાયાં હતાં, ત્યારબાદ તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકનો નંબર આવે છે. પરંતુ રોડ અકસ્માતને કારણે થયેલી ઇજાઓના કિસ્સામાં, તમિલનાડુમાં 72292 વ્યક્તિઓને ઇજા થઈ હતી જે આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ એમપીમાં 55769 અને કેરળમાં 54320 લોકોને ઈજા થઈ હતી તેમ ડેટામાં દર્શાવવા આવ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે ગયાં વર્ષે માર્યા ગયેલાં લગભગ 44 ટકા લોકો લગભગ 76000 લોકો ટુ-વ્હીલર ચાલકો હતાં. તેમાથી લગભગ 70 ટકા ટુ-વ્હીલર સવારોએ હેલ્મેટ પહેર્યો ન હતો. માર્ગ સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ ટુ-વ્હીલર સવારોના મૃત્યુને ઘટાડવા માટે સક્રિય પગલાં લેવા જોઈએ.