ચોમાસામાં સ્થળાંતર કરાવવા પડતા દબાણકારો સામે મનપા એક્શનમાં
4 દિવસમાં ગેરકાયદે દબાણ દૂર કરવા મનપાનો આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહાનગરપાલિકાના વોર્ડ નં.14ના લલૂડી વોંકળી વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય જવાની સમસ્યા ઉભી થાય છે અને લોકોનું સ્થળાંતર કરવું પડે છે. આ સ્થિતિમાં ચોમાસા પૂર્વે મહાનગરપાલિકાએ ફરી 150થી વધુ પરિવારોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપી છે. તેમજ આ દબાણ 4 દિવસમાં દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજકોટના લલૂડી વોંકળી વિસ્તારમાં 3 દાયકાથી વધુ સમયથી રહેતા 150થી વધુ પરિવારને મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે અવરોધરૂપ દબાણો દૂર કરવા તા.27-5ના રોજ નોટિસ આપી છે. આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થાય છે અને ભારે વરસાદમાં આ વિસ્તારમાં રહેતા લોકોને દર વર્ષે સલામત સ્થળે ખસેડવા પડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર ચોમાસે હાલ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તેમાં વોંકળો ઊંડો ઉતાર્યા વગર આરસીસીનું કામ કરતાં નજીવા વરસાદે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ રહ્યો છે.
પાણી ભરાતું ન હોવા છતાં નોટિસ આપવામાં આવી છે
લલુડી વોકળી વિસ્તારના રહેવાસીઓએ નોટીસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે અહીં 40 વર્ષથી વસવાટ કરીએ છીએ. અમે વેરો લાઈટ બિલ પણ ભરીયે છીએ. અમારો વિસ્તાર પણ ઉંચો છે અમારે અહીં પાણી પણ નથી ભરાતું તેમ છતાં નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે અમારી માંગ છે કે જો અમને અન્ય કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી અપીલ છે.
દબાણકારોને RMCના આવાસમાં જગ્યા ફાળવવા કોંગ્રેસની માંગ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ કમિશનરને રજૂઆત કરી છે કે, રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવાસ ખંડેર બની ગયા છે અને વર્ષોથી કોઈને આપવામાં આવ્યા નથી જેમાં લલૂડી વોંકળીની બાજુમાં સોરઠીયાવાડીમાં પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવાસો ધૂળ ખાય છે. અન્ય સ્થળોએ પણ જે આવાસો ખાલી છે તે આવાસોમાં લલૂડી વોંકળીમાં જે દબાણકર્તા અને નોટિસો આપવામાં આવી છે તેના આશિયાના દૂર કરતાં પહેલાં ચોમાસાને ધ્યાને લઈ તમામને પડતર આવાસોમાં સમાવેશ કરવા અમારી માંગ છે. સોરઠિયાવાડી પાસે જે આવાસ લાંબા સમયથી પડતર છે તેમાં 550 જેટલા પરિવારને સમાવેશ કરી શકાય તેમ છે.