પૂર્વ સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અલ્પેશ મોરઝરીયા અને જ્યોત્સનાબેન ટીલાળાને ફરી ટિકિટ મળી શકે
ભાજપમાં ‘નો-રિપીટ’ થિયરીની ચર્ચા, 30 જેટલા કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે
- Advertisement -
ભાજપના ઉમેદવારો નક્કી કરવાની છેલ્લા બે દિવસથી ‘કમલમ’માં કવાયત
ભાનુ બાબરિયા અને દર્શિતાબેન શાહ ધારાસભ્ય છે એટલે ટિકિટ નહીં મળે
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના અને ભ્રષ્ટ અધિકારીઓ સાથેના કથિત સંબંધોને કારણે હિરેન ખીમાણિયા અને નીતિન રામાણી જેવા નેતાઓની ટિકિટ પર જોખમ છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નક્કી કરવાની કવાયત છેલ્લા બે દિવસથી ‘કમલમ’ ખાતે ચાલી રહી છે, પરંતુ રાજકોટ શહેરની બેઠકો પર હજી પણ પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના બીજા દિવસે પણ રાજકોટની યાદી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજના અને અસમંજસનો માહોલ છે. મળતી માહિતી મુજબ, રાજકોટના પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી મેયરને ફરીથી મેદાનમાં ઉતારવા કે નહીં તે અંગે પક્ષમાં ગંભીર મંથન ચાલી રહ્યું છે. નવા ચહેરાઓને સ્થાન આપવાની નીતિ અને જૂના જોગીઓના અનુભવ વચ્ચે હાઈકમાન્ડ અસમંજસની સ્થિતિમાં હોય તેવું જણાય છે. રાજકોટની યાદી અટકવા પાછળનું એક મુખ્ય કારણ વંશવાદ અને પરિવારવાદ સામેનો પક્ષનો કડક અભિગમ હોવાનું મનાય છે. જે પરિવારમાં અગાઉ ત્રણ વખત ટિકિટ આપવામાં આવી હોય, તેવા કિસ્સામાં હવે ચોથી વખત ટિકિટ આપવી કે કેમ તે અંગે હજી સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. આ મુદ્દો અમુક દિગ્ગજ દાવેદારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ભાજપ આ વખતે આશરે 25 થી 30 જેટલા જૂના અને વિવાદિત કોર્પોરેટરોની ટિકિટ કાપી નવા ચહેરાઓને તક આપી શકે છે. સંભવિત યાદી મુજબ પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અલ્પેશ મોરઝરીયા અને જ્યોત્સનાબેન ટીલાળા જેવા સક્રિય ચહેરાઓને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.ભાજપની આ ‘સર્જરી’ સામે અનેક વોર્ડમાં આંતરિક જૂથવાદ અને નારાજગી પણ જોવા મળી રહી છે, જેની અસર આગામી ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે. ભાજપ આજે સાંજ સુધીમાં સત્તાવાર યાદી જાહેર કરે તેવી શક્યતા છે.ભારતીય જનતા પાર્ટીના ‘એક વ્યક્તિ એક હોદ્દો’ના નિયમ મુજબ, ધારાસભ્ય અને મંત્રી પદ ભોગવતા નેતાઓની ટિકિટ કપાવવી નિશ્ચિત મનાય છે. જેમાં વોર્ડ નં. 1 માંથી કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને વોર્ડ નં. 2 માંથી ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે પોતે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
શહેર પ્રમુખ ડો. માધવ દવેને ‘કમલમ’ રોકાઈ જવા આદેશ
રાજકોટના આંતરિક રાજકારણમાં ચાલી રહેલી આ ખેંચતાણ વચ્ચે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેને ખાસ સૂચના આપવામાં આવી છે. તેમને હાલ ‘કમલમ’ (પ્રદેશ ભાજપ કાર્યાલય) ન છોડવા અને ત્યાં જ હાજર રહેવા જણાવાયું છે. આ સૂચના બાદ એવી અટકળો તેજ બની છે કે રાજકોટની બેઠકો માટે ગમે ત્યારે મોટો નિર્ણય લેવાઈ શકે છે અને સંભવિત નામો અંગે તેમની સાથે આખરી ચર્ચા થઈ શકે છે.
ઘઇઈ ક્વોટામાં અન્ય જ્ઞાતિઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ
ભાજપની આંતરિક બેઠકોમાં ઓબીસી ક્વોટા હેઠળ ટિકિટ વહેંચણીને લઈને ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. આહીર સમાજ દ્વારા આ વખતે 10 ટિકિટની માંગ કરવામાં આવતા અન્ય ઓબીસી જ્ઞાતિઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બેઠક દરમિયાન કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઓબીસી એટલે માત્ર આહીર નહીં, અન્ય જ્ઞાતિઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
વિવાદો અને નવા સીમાંકનનું ગ્રહણ
ગેરરીતિના આક્ષેપ: વોર્ડ નં. 5 માંથી વજીબેન ગોલતરના પતિ સામે આવાસ કૌભાંડના આક્ષેપો થતા તેમનું પત્તું કપાઈ શકે છે.
બળવો: વોર્ડ નં. 12 માં અસ્મિતાબેન દેલવાડિયાના પતિ ’આપ’ માં જોડાતા તેમને ટિકિટ ન મળે તેવી પૂરી શક્યતા છે.
ત્રણ ટર્મનો નિયમ: ત્રણ ટર્મ પૂર્ણ કરી ચૂકેલા વિનુ ઘવા સહિત અન્ય પીઢ નેતાઓની સ્થાને નવા લોહીને પ્રાધાન્ય મળી શકે છે.
સ્ટેન્ડિંગ બેઠકમાં વિરોધ કરતા નેહલ શુક્લને રિપીટ ન કરવા પ્રદેશ કક્ષાએ ભલામણ
વોર્ડ-9માં સીમાંકન બદલતા જીતુભાઈ કોટડિયાના બદલે તેમના પત્નીએ દાવેદારી નોંધાવી
વોર્ડ-13માં જયાબેન ડાંગર પણ કપાશે: કારણ કે, 3 ટર્મ થઈ ગઈ છે



