સેવાભાવી યુવા નેતાએ સ્વખર્ચે લોકોની સમસ્યા હલ કરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમસ્યાઓ વકરતાં લોકો ચક્કાજામ અને રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે સેવાભાવી અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સ્થાપક તેમજ મોરબી જિલ્લા પંચાયતના ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા લોકોની મદદે આવ્યા છે. પ્રજાની વચ્ચે રહીને કામોની ખાતરી આપનાર ભાજપના આ યુવા આગેવાને છેલ્લા ઘણા દિવસોથી સ્વખર્ચે મશીનો મંગાવી જાતે નિરીક્ષણ કરીને વિવિધ કામો કરાવ્યા છે.
- Advertisement -
આજે મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓની સૂચનાથી, મોરબીના નેશનલ હાઈવેથી ગુંગણથી કૃષ્ણનગર ગામને જોડતા રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અજયભાઈ લોરિયાએ પોતે આ કામનું નિરીક્ષણ કર્યું હતું.
ગુંગણ ગામના મહાવીરભાઈ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવેથી ગુંગણ-કૃષ્ણનગર સુધીના રોડના આગળના ભાગે 600 મીટર જેટલું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. જેના કારણે વાહનચાલકોને અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “અજયભાઈ લોરિયાને અગાઉ આ અંગે રજૂઆત કરી હતી અને ગઈકાલે ફોન કરીને વરસાદના કારણે રસ્તાની અતિ બિસ્માર હાલત વિશે જાણ કરી હતી. તેમણે તાત્કાલિક અમારી રજૂઆતને ધ્યાને લઈને કામ શરૂ કરાવ્યું. અમે અજયભાઈ લોરિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.” આ ઘટના દર્શાવે છે કે, જ્યારે સ્થાનિક સમસ્યાઓ માટે તંત્ર ધીમું પડે છે, ત્યારે પ્રજા વચ્ચેથી જ કોઈ સક્રિય આગેવાન આગળ આવીને જનતાના પ્રશ્નોનું નિવારણ લાવી શકે છે.