ગટરના લીકેજથી પીવાનું પાણી દૂષિત બન્યું, ડહોળા પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ
આર્યમાન રેસીડેન્સીમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ થાળી વગાડી તંત્ર સામે રોષ ઠાલવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી આર્યમાન રેસીડેન્સીમાં આજે પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા બે વર્ષથી ડહોળા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યા વેઠી રહેલા લત્તાવાસીઓએ આજે સવારે એકઠા થઈને ’થાળી-વેલણ’ વગાડી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે જ જનતા પાયાની સુવિધાઓ માટે રસ્તા પર ઉતરી છે.
સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે વોર્ડ નંબર 12 માં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. ભૂગર્ભ ગટરની લાઈનોમાં લીકેજ હોવાને કારણે ગંદુ પાણી પીવાના પાણીના તળ બગાડી રહ્યું છે, જેના કારણે નળમાં આવતું પાણી અત્યંત ડહોળું અને દુર્ગંધયુક્ત હોય છે. આ દૂષિત પાણીને કારણે ઘરમાં વાસ મારે છે અને બાળકો તેમજ વૃદ્ધોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
શહેરના અનેક વિસ્તારોમાં હાલ પાણીના તળ બગડવાની સમસ્યા વકરી રહી છે, ત્યારે આર્યમાન રેસીડેન્સીની મહિલાઓએ ચીમકી આપી છે કે જો ગંદા પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચૂંટણીના માહોલ વચ્ચે જ જનતાનો આ મિજાજ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈ નિવારણ નહીં
- Advertisement -
વિરોધ કરી રહેલી બહેનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે છેલ્લા બે વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો ચૂંટણી જીત્યા પછી મોઢું બતાવવા પણ આવતા નથી. જ્યારે પણ સમસ્યા બાબતે સંપર્ક કરવામાં આવે ત્યારે માત્ર આશ્ર્વાસનો જ મળે છે.”



