સાસણમાં સિંહ દર્શન કરવાની શક્યતાને પગલે અભયારણ્ય 10 દિવસ વહેલું ખૂલશે
વન વિભાગ-જિલ્લા તંત્રની તૈયારીઓ પુરજોશમાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીર અભ્યારણ્યના પ્રવાસીઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમને કારણે, સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિના માટે બંધ રહેતું ગીર જંગલ આ વર્ષે નિર્ધારિત સમય કરતાં લગભગ 10 દિવસ વહેલું ખુલવાની સંભાવના છે.
- Advertisement -
સામાન્ય રીતે, વન્યજીવોના સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર અભ્યારણ્ય દર વર્ષે 15મી જૂનથી 16મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જો કે, વન વિભાગના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો સંભવિત કાર્યક્રમ 10 અને 11 ઓક્ટોમ્બર દરમિયાન ગીર જંગલની બે દિવસીય મુલાકાત લેવાનો બની રહ્યો છે.
રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, વન વિભાગે મોટો નિર્ણય લીધો છે કે પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્યના દ્વાર 16 ઓક્ટોબરના બદલે, સંભવત: 7 ઓક્ટોમ્બરથી જ ખુલ્લા મૂકી દેવામાં આવશે. આ નિર્ણયથી પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે, જેઓ ચોમાસાના વિરામ પછી ગીરના જંગલોના સૌંદર્યનો વહેલો લાભ લઈ શકશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની આ સંભવિત મુલાકાત એ માત્ર ગીર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાસણ ગીરમાં વન વિભાગ ઉપરાંત જિલ્લાના અન્ય વહીવટી વિભાગના અધિકારીઓની દોડધામ જોવા મળી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
- Advertisement -
ભાલછેલ ખાતેના હેલિપેડની સઘન ચકાસણી અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિના સુરક્ષા અને બંદોબસ્ત માટે આવનારા સ્ટાફના રહેવા-ઉતારાની ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ સાસણના સતત ચક્કર લગાવી રહ્યા છે.
રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને કારણે ગીરનું જંગલ વહેલું ખૂલવાની શક્યતા છે, જે સિંહ દર્શનના શોખીનો માટે એક મોટી ભેટ સમાન છે. વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ અભ્યારણ્ય ખોલવાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે.