7 વર્ષ સુધીની સજાની જોગવાઈ વાળા બિનજામીનપાત્ર અપરાધમાં જો આરોપી ‘સહકાર’ આપે તો ધરપકડ કરી શકાશે નહી : ફરી તાકીદ
ભારતીય ફોજદારી ધારાની કલમ 41 – એ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35 હેઠળના અપરાધોમાં સુપ્રીમનો આદેશ : કોઈ ઈલેકટ્રોનિક માધ્યમ નહીં, નિશ્ચિત પ્રક્રિયા મુજબ જ નોટિસ પાઠવવી જરૂરી
જેલમાં સબડતા કાચા કામના કેદીઓમાં હવે કેસ – ટુ – કેસ વ્યક્તિગત બોન્ડ પર જામીન મુક્ત કરવાની પ્રક્રિયા નિશ્ર્ચિત કરાશે : નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
અદાલતી કાર્યવાહીને વધુને વધુ ડીજીટલ કરવાની પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટ કોગ્નીઝેબલ ઓફેન્સ એટલે કે જે બિનજામીનપાત્ર અપરાધ હેઠળ ધરપકડ થાય છે તેમાં આરોપીને વોટસએપ મારફત પ્રી-એરેસ્ટ નોટીસ નહી મોકલવા આદેશ આપ્યો છે.
ઈન્ડીયન પીનલ કોડની ધારા 41 એ તથા તેનું સ્થાન લઈ રહેલા ભારતીય ન્યાય સંહિતાની કલમ 35 હેઠળ જે બિન જામીનપાત્ર અપરાધ છે. તેમાં જે તે અપરાધીને વોટસએપ કે અન્ય ઈલેકટ્રોનીક માધ્યમથી ધરપકડ પુર્વેની નોટીસ મોકલી શકાશે નહી.
આ પ્રકારના અપરાધની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ પહેલા જે તે આરોપીને પુછપરછ માટે હાજર થવા માટે જણાવવાનું રહેશે અને તે માટે નિયત પ્રક્રિયા મુજબ નોટીસ આપવાની રહે છે અને જો અપરાધી આ પ્રકારની તપાસમાં સહકાર આપતા હોય તો તેની ધરપકડ કરવાની રહેશે નહી.
- Advertisement -
ખાસ કરીને હાલમાં જ જે રીતે રાજકીય ધરપકડ થઈ રહી છે તે સંદર્ભમાં સુપ્રીમકોર્ટમાં થયેલી એક અરજીમાં કલમ 41 એ હેઠળની કાર્યવાહીમાં કોર્ટના મદદગાર ધારાશાસ્ત્રી તરીકે નિયુક્તિ સિનીયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરાના એ સુચનને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.એમ.સુંદેશ અને રાજેશ બિંદાએ માન્ય રાખતા આ આદેશ આપ્યો હતો. જેમાં જણાવાયુ કે, તમામ રાજય-કેન્દ્રશાસન હેઠળના પ્રદેશોએ તેમના પોલીસ વિભાગને એ કાયમી સૂચના આપવાની રહેશે કે ફોજદારી ધારાની 41-એ અથવા તો ભારતીય ન્યાય સંહિતા ધારાની કલમ 35 હેઠળ જે નોટીસ પાઠવવામાં આવે છે તે નિશ્ચિત સ્વરૂપમાં જે કાનુની જોગવાઈ છે તે રીતે મોકલવાની રહેશે અને વોટસએપ કે અન્ય ઈલેકટ્રોનીક માધ્યમથી આ પ્રકારની નોટીસ માન્ય ગણાશે નહી અને તે ફકત એક વૈકલ્પિક કે વધુ એક માધ્યમથી મોકલાતી નોટીસ ગણાશે.
આ ઉપરાંત ધારાશાસ્ત્રી લુથરાએ સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદા ભણી પણ ધ્યાન ખેચ્યું હતું કે, સાત વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ વાળા અપરાધમાં તમામ અધિકારીએ પ્રથમ ફોજદારી ધારાની કલમ 41-એ અથવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 35નું પાલન કરીને આરોપીની સીધી ધરપકડ ન કરે તે જરૂરી છે. દેશની જેલોમાં જે રીતે કાચા કામના લાખો કેદીઓ જેઓ જામીન પ્રક્રિયાના અભાવે જ જે રીતે બહાર આવી શકતા નથી કે તેઓ નિયત રકમનો બોન્ડ ભરવા પણ શક્તિમાન નથી તે અંગે એડવોકેટ લુથરાએ સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીએ સૈદ્ધાંતિક રીતે એ સહમતી દર્શાવી છે કે, આ પ્રકારના કેદીઓની તેના આધારકાર્ડ મારફત ઓળખી નિશ્ચિત કરીને તેને વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવા જોઈએ અને હવે તે અંગેની એક પ્રક્રિયા પણ ઘડવામાં આવી રહી છે.