ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
ગીર સોમનાથમાં ઇકોઝોન મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે આગેવાન પ્રવીણ રામે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે 196 ગામના ઇકોઝોનથી પ્રભાવિત ખેડૂતોને 8 તારીખે કોડીનાર અને વિસાવદરની સભામાં હાજર રહેવા અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોડીનાર ખાતે સુગર ફેક્ટરીના ખાતમુહૂર્ત પ્રસંગે આવી રહ્યા છે. પ્રવીણ રામે ખેડૂતોને ગાંધી માર્ગે શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરવા જણાવ્યું છે. થોડા સમય પહેલા વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. પ્રવીણ રામના મતે તેઓ ગીર અને ખેડૂતોની વેદના સમજવામાં નિષ્ફળ રહ્યા. તેમણે નેતાઓ સાથે ચર્ચા માટે સમય માંગ્યો હતો. પરંતુ સમય ન મળ્યો અને ઇકોઝોન મુદ્દે અવાજ ઉઠાવનારા લોકોને નજરકેદ કરવામાં આવ્યા. પ્રવીણ રામે ખેડૂતોને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાની મિલકત અને આવનારી પેઢીઓને બચાવવા માટે અવાજ નહીં ઉઠાવે, તો બીજું કોઈ તેમના માટે બોલશે નહીં. તેમણે ખેડૂતોને પોતાના હક માટે શાંતિપૂર્ણ લડત આપવાનું આહ્વાન કર્યું છે.
કોડિનારમાં અમિત શાહની સભામાં શાંતિપૂર્ણ રજૂઆત કરવા માટે પ્રવીણ રામનું આહ્વાન
