ઘરે-ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી એટલે કે 4 ડિસેમ્બર સુધી ચાલશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે. આ અંગે પોરબંદર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પોરબંદર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી
- Advertisement -
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ. ડી.ધાનાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, તારીખ 27 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી બૂથ લેવલ ઓફિસર (ઇકઘ), મતદાર નોંધણી અધિકારી (ઊછઘ), અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની તાલીમનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ઘરે-ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી એટલે કે 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ સમયગાળા દરમિયાન, બીએલઓ દરેક મતદારના ઘરે જઈને છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારોના નામો છે, તેમને મતદાર ગણતરીના ફોર્મની બે નકલમાં પૂરા પાડશે. મતદારે આ બે ગણતરી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. આ ફોર્મમાં મતદારની હાલની વિગતો પહેલેથી જ પ્રિન્ટ થયેલી હશે.
મતદારે માત્ર ફોર્મના છેલ્લા ખાનામાં પોતાનો હાલનો એક રંગીન ફોટો ચોંટાડવાનો છે. જરૂરી વિગતો ભર્યા બાદ, મતદારે ફોર્મની એક નકલ પોતાની સહી કરીને બીએલઓને પાછી આપવાની છે. બીજી નકલમાં બીએલઓ પોતે મળ્યાની સહી કરી આપશે, જે મતદાર પાસે રહેનાર છે. મતદાર જો ઈચ્છે તો એ ફોર્મમાં પોતાનો આધારકાર્ડ નંબર આપી શકે છે, જે વૈકલ્પિક છે. તેમજ મતદારે હાલની મતદાર યાદીમાં તેના કુટુંબના અન્ય સભ્યો, જેમ કે પિતા, માતા, પતિ, પત્ની વગેરેની વિગતો પણ આપવાની છે, જેથી કરીને આગામી મતદાર યાદીમાં કુટુંબના તમામ સભ્યોના નામ એકસાથે આવી શકે. આ ખાસ સઘન સુધારણા (જઈંછ) 2002ની મતદાર યાદીને બેઝ લઈને ચાલી રહી છે. મતદારે પછીની કોલમમાં 2002ની મતદાર યાદીમાં તેની વિગતો (કયા જિલ્લામાં, કઈ વિધાનસભામાં, કયા ભાગમાં અને કયા ક્રમ નંબર પર હતો) ભરવાની છે. જો મતદારને આ વિગતો ભરવામાં મદદ જોઈતી હોય, તો બૂથ લેવલ ઓફિસર (ઇકઘ) તમામ મદદ આપવા માટે ઉપલબ્ધ છે. બીએલઓ પાસે ભારતના ચૂંટણી પંચનું અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનું ઓનલાઈન વેબ પોર્ટલ છે, જેની વિગતો બતાવીને બીએલઓ મતદાર પાસે વિગતો ભરાવશે. જે મતદારોની ઉંમર અત્યારે 39 વર્ષથી ઓછી છે અને તેઓના નામ 2002ની મતદાર યાદીમાં નહીં હોય, તેઓએ તેમના કુટુંબના અન્ય સભ્યો (જેમ કે પિતા, માતા, દાદા, નાની)ની 2002ની મતદાર યાદીની વિગતો આપવાની રહેશે. મતદારે આ એક મહિનાના ગણતરી કાર્યક્રમમાં ફોર્મ ભરીને પાછું આપ્યા સિવાય અન્ય કોઈ આધાર પુરાવો આપવાનો રહેતો નથી. સમગ્ર સુધારણાનો મુખ્ય આશય એ છે કે, કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાં હોવો જોઈએ અને તેનું નામ નીકળી ન જાય. સાથે જ, જે મતદાર નોંધાવાને ગેરલાયક છે તેનું નામ મતદાર યાદીમાં ન આવે અને જો આવ્યું હોય તો નીકળી જાય. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી છે કે, આપના ઘરે જ્યારે બીએલઓ ગણતરી ફોર્મ લઈને આવે, ત્યારે તે ફોર્મ લઈ અને તેમાં ભરવાની વિગતોની પૂરી સમજણ મેળવી લેવી અને જરૂર પડે તો બીએલઓનું માર્ગદર્શન મેળવવું.
ફોર્મ સંપૂર્ણ વિગત સાથે ભરીને બીએલઓને પાછું આપવાનું છે. જો મતદાર કોઈ કારણસર હાજર ન હોય (ધંધો, રોજગાર કે અભ્યાસના કારણે), તો પણ તે મતદાર તરીકે નોંધાવાને લાયક હોય તો તેના કુટુંબના સભ્ય પણ આ ફોર્મ ભરીને બીએલઓને પાછું આપી શકે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન, જો કોઈ મતદાર મળી ના આવે, તો બીએલઓ દરેક ઘરની ત્રણ વાર મુલાકાત લેશે. આ ભરેલા ફોર્મના આધારે બીએલઓ પોતે તેની ઓનલાઈન એન્ટ્રી પણ કરશે છે. ત્યારબાદ 4 ડિસેમ્બર બાદ, મતદાર નોંધણી અધિકારી જરૂરી પ્રક્રિયા કરશે અને મતદાર યાદીનો ડ્રાફ્ટ 9 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે.જે કાર્યક્રમમાં જિલ્લામાં 483 બૂથ લેવલ ઓફિસર (ઇકઘ) જોડાયેલા છે. તેમની ઉપર દર 10 બીએલઓ દીઠ એક સુપરવાઇઝર પણ જોડાયેલા છે. આ ઉપરાંત, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિત જિલ્લા ચૂંટણી અધિકારીનું આખુ તંત્ર પણ કાર્યરત છે. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના રાજકીય પક્ષોની પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી અને તેમને વિનંતી કરી હતી કે તેઓ પણ આ એક મહિનાના કાર્યક્રમમાં સહકાર આપે. રાજકીય પક્ષો પક્ષદીઠ દરેક બૂથ માટે એક બીએલએ (બૂથ લેવલ એજન્ટ) નીમે, જેથી તેઓ બીએલઓ સાથે કામગીરીમાં જોડાઈને મદદ કરે અને આખો કાર્યક્રમ સમયસર અને સંપૂર્ણ શુદ્ધતા સાથે પૂર્ણ થાય.



