ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે ’પરીક્ષા પે ચર્ચા’ યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને તેમને તણાવ મુક્ત અને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેવી રીતે લીડર બની શકાય છે. આ ઉપરાંત પીએમ મોદીએ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવાની પણ શીખ આપી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘તમારા માટે સ્વસ્થ આહાર લેવો મહત્ત્વપૂર્ણ છે. તેમજ અભ્યાસની સાથે સાથે સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. બાળકોએ ગૂગલ પર એ ન જોવું જોઈએ કે શું ખાવું અને શું ન ખાવું જોઈએ બસ જે હેલ્ધી છે એ જ ખાવું જોઈએ. તેમજ માતા-પિતા જે આપે છે તે ખાવું જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ. આ ઉપરાંત લખવાની બાબતને લઈને પીએમ મોદીએ કહ્યું કે, ’લખવાની આદત ખૂબ જ જરૂરી છે. તમે ગમે તે લખો તો પણ આ આદત તમારા વિચારોને બાંધવાનું કામ કરશે.’
- Advertisement -
ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘સૌથી પહેલા આપણે આપણા સમય વિશે વિચારવું પડશે કે હું મારા સમયનો વધુ ઉપયોગ કેવી રીતે કરી શકું. હું આ બાબતે ખૂબ જ સાવધ છું. સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું કાગળ પર લખવું જોઈએ અને ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. તેને દરરોજ માર્ક કરો અને જુઓ કે તમે કયા કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે.’
પીએમ મોદીએ કહ્યું કે, ‘વ્યક્તિએ હંમેશા પડકારોનો સામનો કરવો જોઈએ, કોઈપણ વિષયને પડકાર તરીકે જોવો જોઈએ. જે વિષય તમને ડરાવે છે તેને પહેલા ઉકેલવો જોઈએ. જ્ઞાન અને પરીક્ષા બે અલગ વસ્તુઓ છે.’ આ સાથે શિક્ષકોને ટાંકીને પણ પીએમ મોદીએ વાત કરી અને કહ્યું કે, ‘શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવાનું પણ છે.’
પીએમ મોદીએ બાળકોને એ પણ જણાવ્યું કે તેઓ તેમના મનને કેવી રીતે શાંત રાખી શકે છે. તેમણે કહ્યું કે, ‘અર્થહીન વાત કરવાને બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો તમે અન્ય બાબતો વિશે વધુ પડતી વાત કરશો તો તમારું મન ભટકશે. ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારી નિષ્ફળતાને તમારો શિક્ષક બનાવવો પડશે. જીવનનો મતલબ માત્ર પરીક્ષાઓ જ નથી.’