તોડકાંડ મામલે વધુ ખુલાસા સામે આવ્યા
તરલ ભટ્ટે બન્નેને હાથો બનાવ્યાનો રિપોર્ટ રજૂ
- Advertisement -
બન્નેના 164 મુજબ નિવેદનો લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસબેડામાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનાર તોડકાંડમાં અનેક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને એએસઆઇ દિપક જાની અને માણાવદર સસ્પેન્ડ સીપીઆઇ તરલ ભટ્ટ સામે બી-ડીવીઝનમાં ગુનો દાખલ થયા બાદ સમગ્ર તોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. જેમાં વધુ ખુલાસા સામે આવ્યા છે.
આ તોડકાંડ પ્રકરણમાં તરલ ભટ્ટે પીઆઇ અરવિંદ ગોહિલ અને એએસઆઇ દિપક જાનીને હાથો બનાવ્યા હોવા અંગેનો રિપોર્ટ તૈયાર કરી ગૃહ વિભાગમાં રજુ કર્યો છે. તેવા અહેવાલો મળી રહ્યા છે. ત્યારે પીઆઇ ગોહિલ અને એએસઆઇ જાનીની કોઇ ભૂમિકા નહીં હોવા અંગે કોર્ટમાં પણ રિપોર્ટ રજૂ કરશે. જૂનાગઢ તોડકાંડ મુદ્દે પીઆઇ, સીપીઆઇ અને એએસઆઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસની ગંભીરતાને ઘ્યાને રાખી સમગ્ર તપાસ એટીએસને સોંપાઇ હતી. જો કે, આ અંગે એટીએસ દ્વારા કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ તોડકાંડમાં એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. ત્યારે આ કેસમાં એટીએસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે. તેનો રિપોર્ટ ગૃહ વિભાગમાં રજુ કર્યો છે તેમાં તે વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, આ તોડકાંડમાં પીઆઇ એએમ ગોહિલ અને એએસઆઇ દિપક જાનીની કોઇ ભૂમિકા ન હતી. આ બન્નેને તરલ ભટ્ટે હાથો બનાવ્યાનું સામે આવી રહ્યુ છે. જેના લીધે આ કેસમાં તાજના સાક્ષી બનાવી દેવાયા હોવાનું જણાઇ રહ્યુ છે. જયારે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તોડકાંડનો માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હોવાનો રિપોર્ટ એટીએસએ રજૂ કર્યો છે.
સમગ્ર તોડકાંડ મામલે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી તે પહેલા જ પીઆઇ ગોહિલ અને એએસઆઇ દિપક જાનીને એટીએસએ ઉઠાવી લીધા હતા અને બન્ને પાસેથી તોડકાંડની તમામ વિગતો એકત્ર કરી લેવામાં આવી હતી અને ત્યાર બાદ 164 મુજબ નિવેદનો લેવામાં આવ્યા હતા અને પીઆઇ ગોહિલ અને એએસઆઇ જાનીને તાજના સાક્ષી બની જવાનું કહેવામાં આવ્યુ હતુ. જો કે, તે બન્ને તાજના સાક્ષી બન્યા બાદ એટીએસએ તરલ ભટ્ટને ઝડપી લેવામાં આવ્યો હતો.
જયારે તોડકાંડમાં એટીએસએ વધુ ખુલાસા સાથે દૂધનુ દૂધ અને પાણીનું પાણી કરી દેવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જેમાં અન્ય પોલીસ કર્મચારી, અધિકારી, બુકીઓ તેમજ આંગડીયા પેઢીના માલીકો સહિત સહ આરોપીઓના પરિવારના સભ્યોના નિવેદનો લઇને 50 જેટલા લોકોની જીણવટભરી પુછપરછ કરી છે. ત્યારે હજુ એટીએસ દ્વારા આગામી દિવસોમાં વધુ ખુલાસા થશે તેવુ જાણવા મળી રહ્યુ છે.