ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તા.23 જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પેલિએટીવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં કેન્સર, ટીબી, એચઆઇવી, પેરાલીસીસી જેવી ગંભીર બિમારીઓની સારવાર મળશે. આ વોર્ડને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં 2 વર્ષ પહેલા કેન્સરની બિમારી માટે કિમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં કેન્સરના દર્દીઓને રાજકોટ, અમદાવાદ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે કિમોથેરાપેથીની સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે હવે વધુ એક સારવાર અને સુવિધામાં વધારો કરાયો છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં કેન્સર, ટીબી, એચઆઇવી, પેરાલીસીસ જેવી ગંભીર બિમારીમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે અને આવા દુ:ખના દર્દીને ખૂબ જ દુ:ખાવો થવો, નિંદર ન આવવી, ભૂખ ન લાગવી, થાક લાગવી, લોહી ઉડી જવું, હાથ-પગમાં સોજો આવવ, આવા દર્દીઓને આ વોર્ડમાં રાખવામાં આવશે અને સારવાર સાથે તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.


