આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આજે બપોરે 2.30 વાગ્યે શરૂ થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હરકતે સર્જાયેલો વિવાદ હવે ઉકેલાયો છે. પાકિસ્તાન બોર્ડે પોતાની ભૂલ સુધારતાં પોતાના સ્ટેડિયમમાં ભારતનો તિરંગો લહેરાવ્યો છે. આજે કરાચી નેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ રમાશે.
ભારતનો તિરંગો ન લગાવ્યો
- Advertisement -
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરાચી નેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ તમામ દેશોની ટીમના ઝંડા લગાવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાનો તિરંગો તેમાંથી ગાયબ હતો. આ ભૂલ તેણે જાણી જોઈને કરી હતી કે, કેમ તેની જાણ થઈ શકી નથી. પરંતુ ટીમ ઈન્ડિયાને નજરઅંદાજ કરવુ તેને ભારે પડ્યું. ચારેકોર વિવાદ થતાં તેણે પોતાની ભૂલ સ્વીકારી સુધારી હતી. સોશિયલ મીડિયા પર કરાચી નેશનલ સ્ટેડિયમની અમુક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતાં. જેમાં ભારતનો તિરંગો ન હતો. પરંતુ અન્ય તમામ દેશોનો તિરંગો હતો. પાકિસ્તાન બોર્ડનું આ વલણ ટીમ ઈન્ડિયા દ્વારા પાકિસ્તાનનો બહિષ્કાર હોવાની અટકળો વહેતી થઈ હતી.
ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ પર પાકિસ્તાનનો ઉલ્લેખ
સોશિયલ મીડિયા પર કરાચી નેશનલ સ્ટેડિયમની વાયરલ તસવીરોમાં ભારતનો તિરંગો ગુમ રહેતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોલ થયુ હતું. બાદમાં તેણે પોતાની ભૂલ સુધારી નવી તસવીરો રજૂ કરી હતી. જેમાં ભારતનો તિરંગો સામેલ કરાયો હતો. ઉલ્લેખનીય છે, ટીમ ઈન્ડિયાએ ભલે પાકિસ્તાનમાં મેચ રમવાનો ઈનકાર કર્યો હોય પણ તેણે હોસ્ટ નેશન તરીકે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ પોતાની ટી-શર્ટમાં કર્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની તમામ મેચ દુબઈમાં રમવાની છે. આવતીકાલે 20 ફેબ્રુઆરીએ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે રમશે.
- Advertisement -
બીસીસીઆઈએ પણ નારાજગી દર્શાવી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક સૂત્રે જણાવ્યું હતું કે, ભારત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન પોતાની એકપણ મેચ પાકિસ્તાનમાં રમવાનો નથી. કરાચીના નેશનલ સ્ટેડિયમ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ અને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં એવા દેશોના ઝંડા લહેરાવવામાં આવ્યા છે. જે તે સ્ટેડિયમ્સમાં મેચ રમવાના છે. બીજી તરફ બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન બોર્ડે પહેલાં ખાતરી કરવી પડશે કે, ત્યાં ભારતનો તિરંગો હતો કે નહીં. જો ન હતો, તો તેણે લગાવવો જોઈતો હતો. તમામ ભાગ લેનારા દેશોના ઝંડા ત્યાં લગાવવાના હતા.