કથામૃત: બે મિત્રો હતાં – જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં, એક સરખા પગારથી એકસમાન હોદ્દા પર કામ કરતા હતાં અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતાં. બધી જ બાબતમાં સમાનતા હોવા છતાં એક મિત્ર હંમેશાં આનંદમાં રહેતો અને બીજો હંમેશાં દુ:ખી રહેતો. એક વખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા, ત્યારે દુ:ખી મિત્રે કહ્યું, યાર, આપણા બંનેની પાસે બધું જ સરખું છે. આપણને આનંદ પણ સમાન મળવો જોઈએ. છતાં પણ એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તણાવમાં જીવું છું ? મારા જીવનમાં આવે છે એવી કોઈ સમસ્યા કે દુ:ખ શું તારા જીવનમાં આવતા જ નથી ? બીજાં મિત્રે કહ્યું, ભાઈ, પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલી જ છે, જેટલી તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઈએ છીએ. તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે. દુ:ખી રહેતા મિત્રે કહ્યું, તારી વાત બિલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવું શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્ણ જીવન જીવી શકે છે ? પોતાના મિત્રના ખભા પર હાથ મૂકીને જવાબ આપતા બીજાં મિત્રે કહ્યું, અરે, મારા વ્હાલા દોસ્ત. તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે જીવનમાં આવતા દુ:ખોને કારણે હું માત્ર એક જ વાર દુ:ખી થાઉં છું. તું એક જ દુ:ખ માટે ત્રણવાર દુ:ખી થાય છે. એક, દુ:ખ કે સમસ્યા આવવાની હોય ત્યારે, એના સતત વિચારો કરીને. બે, દુ:ખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે. અને ત્રણ, દુ:ખ કે સમસ્યા જતા રહે ત્યાર બાદ એને વારંવાર યાદ કરીને. જીવનમાં આવતી સમસ્યાથી મને એક વખત તકલીફ પડે છે અને તને ત્રણવાર તકલીફ પડે છે.
અર્થામૃત: જે વીતી ગયું છે તેના માટે શોક ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ. બુદ્ધિશાળી લોકો વર્તમાન સમય અનુસાર જ કામ કરે છે.
- Advertisement -
બોધામૃત: આપણે બધાં પણ એક જ સમસ્યા માટે ત્રણવાર દુ:ખી થનારા માણસો છીએ. ભવિષ્ય માટે સજાગ જરૂર બનીએ, પણ હજુ જે બન્યું જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ. સતત ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભૂલોમાંથી બોધપાઠ લઈને આગળ વધીએ.
અનુભવામૃત: