વિધાનસભામાં મહેસુલ વિભાગની 3259 કરોડની બજેટ માંગણી મંજુર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.19
ગુજરાત વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગની કુલ રૂા. 3259 કરોડથી વધુની અંદાજપત્રીય માંગણીઓ બહુમતિથી પસાર કરાઈ હતી. આ તબક્કે, મુખ્યમંત્રી વતી ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહેસૂલ વિભાગ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે, આઈ-ઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઇ, વારસાઈ નોંધ, હયાતી હકક, નમૂના-6, નમૂના 7/12 અને નમૂના 8/અ ની નકલો, ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ અને સંલગ્ન દસ્તાવેજોની નકલ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય છે.
- Advertisement -
આ પ્રકારે અંદાજે 36 પ્રકારની સેવા ઓનલાઈન કરવામાં આવી છે અને જાન્યુઆરી-2025 સુધી 2.91 કરોડથી વધુ નકલો ઓનલાઇન જારી કરવામાં આવી છે. આ પોર્ટલ સાથે ઇ-ધરા અને સિટી સરવે ઇન્ફર્મેશન સિસ્ટમના જોડાણથી બિનખેતી બાદ તુરત જ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થઈ જાય છે. જમીનના દસ્તાવેજોની સંવેદનશીલતા અને અગત્યતાને ધ્યાનમાં રાખીને હવે, જૂના રેકર્ડને સ્કેનિંગ કરવાનું આયોજન છે. એવી જ રીતે રાજ્યમાં હાલ 310 સેવા-કેન્દ્રો દ્વારા 148 જેટલી સેવાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
જેમાંથી 42 સેવાનો નિકાલ માત્ર એક જ દિવસ કરવામાં આવે છે. આ જનસેવા કેન્દ્રોને હવે વધુ આધુનિક અને સુવિધાયુકત બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર માટેની પ્રક્રિયાઓને સરળ બનાવાતા 55 ટકા જેટલી અરજી ઘટી છે. જ્યારે શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રીમિયમ વસૂલીને શરતફેરની મંજૂરીની પ્રક્રિયા માટે રૂ. 5 કરોડ સુધીની સત્તા કલેક્ટરને આપવામાં આવી છે. જમીન સંપાદન થયા બાદ ચોકકસ સમયમાં જમીન ખરીદ કરી શક્યા ન હોય કે અરજી કરી શક્યા ન હોય તેવા ખેડૂતો 29મી, નવેમ્બર, 2024ના ઠરાવ મુજબ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકે છે. 1 જે તે સમયે પ્રીમિયમ વસૂલ્યા વગર આપેલી બિનખેતી પરવાનગીઓને હવે 10 ટકા પ્રીમિયમ સાથે બિન ખેતીની પરવાનગી કરી આપવામાં આવશે.
તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સી.સી. ટી.વી. અને ઓનલાઇન કનેક્ટિવિટીથી અનિધકૃત અવરજવર ઉપર અંકુશ મૂકી શકાશે અને સિનિયર સરવેયરની ભરતી કરીને દફતરી ખાતાની કામગીરીને વેગ અપાશે.