શરણાર્થીઓને હવે સ્વૈચ્છિક રીતે સ્વદેશ પાછા ફરવા માટે 4 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી 25 દિવસનો “ગ્રેસ પીરિયડ” આપવામાં આવશે.
પાકિસ્તાનમાં રહેતા લાખો અફઘાનિસ્તાની નાગરિકોને કાઢી મુકવામાં આવશે, જેની કવાયત 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. પાકિસ્તાન એવા અફઘાનિસ્તાની નાગરિકોને પરત મોકલી રહ્યું છે કે જેમની પાસે પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન કાર્ડ છે અને શરણાર્થી તરીકે પાકિસ્તાનમાં વર્ષોથી રહેતા આવ્યા છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન આશરે 13 લાખથી વધુ અફઘાનિસ્તાનીઓને કાઢી મુકશે. ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ સત્તામાં આવ્યા હતા ત્યારે તેમણે પણ આ રીતે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે તવાઈ બોલાવી હતી. ત્યારે અનેક દેશોના લોકોને પકડીને અમેરિકાથી તગેડી મૂકવામાં આવ્યા હતા.
- Advertisement -
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ 1 સપ્ટેમ્બરના રોજ આ અફઘાનિસ્તાની નાગરિકોને કાઢી મુકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે લોકોએ સ્વેચ્છાએ પાકિસ્તાન નથી છોડયું તેમની ધરપકડ કરવામાં આવશે. હાલમાં પાકિસ્તાન સરકારે તમામ પ્રાંતોની સરકારોને તૈયાર રહેવા માટે આદેશ આપ્યો છે. આ પહેલા પાકિસ્તાન સરકારે 31 મી જુલાઇના રોજ જાહેરાત કરી હતી પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન (પીઓઆર) કાર્ડ ધરાવતા અફઘાનિસ્તાની નાગરિકો વિઝા વગર જ પાકિસ્તાનમાં રહે છે, તેમને અપાયેલા પીઓઆર કાર્ડની સમય મર્યાદા 30 જૂનના રોજ પૂર્ણ થઇ ગઇ છે.