કોઠારિયા રોડની કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનું ચુસ્ત પણે પાલન કરો, રહેવાસીઓ કલેક્ટરને મળ્યા
અશાંતધારો લાગુ હોવા છતાં અમુક જમીન-મકાનના દલાલો, નોટરી અને વકીલો કાયદાનું ઉલ્લંઘન કરતાં હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કોઠારિયા રોડ ખાતે આવેલી કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તેવી માગણી સાથે આ વિસ્તારના રહેવાસીઓ કલેક્ટરને મળ્યા હતા અને રજૂઆત કરી હતી. કલેક્ટરને કરેલી રજૂઆતમાં રહેવાસીઓએ એવું જણાવ્યું છે કે, અશાંતધારો લાગુ હોવા છતાં અમુક નોટરી અને વકીલો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.ત્યારે જે કિસ્સામાં અશાંતધારાનો ભંગ થયો છે તેવા મકાનના વેચાણ રદ કરાય તેવી માગણી ઊઠી છે. કેદારનાથ સોસાયટીના લોકોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં એવું જણાવ્યું હતુ કે, શહેરના વોર્ડ નંબર 16ના કોઠારિયા રોડ પરની ઘણી બધી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આ કાયદાનું પાલન થતું નથી. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. આમ છતાં જમીન-મકાન લે-વેચના દલાલોએ કેદારનાથ સોસાયટી તથા ન્યૂ સાગર સોસાયટી વચ્ચે આવતા 40 ફૂટ રોડ પર 5થી 6 મકાનનું વેચાણ સોસાયટીના રહીશોને ગેરમાર્ગે દોરીને કરેલ છે. ત્યારે સોસાયટીના રહીશોની માગણીને ધ્યાને રાખીને આ મકાનના વેચાણ કરાર રદ કરવામાં આવે. તેમજ જે કેસમાં અશાંતધારાનું પાલન થતું નથી તેવી મિલકતના સોદા પ્રકરણમાં જે નોટરી અને વકીલો કાયદાનું ઉલ્લંઘન કરીને મકાન વેચાણના કરાર કરી આપે છે તે રદ કરવામાં આવે તેવી માગણી અંતમાં કરી છે. આ સોસાયટી આશરે 35 વર્ષ જૂની હોય આ સોસાયટીના આજુબાજુની મોટાભાગની સોસાયટીની સનદો આવી ગયેલી છે કેદારનાથ સોસાયટી વહેલી તકે રેગ્યુલાઈઝેશન કરવા અંતમાં જણાવ્યું છે.