જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણતાના આરે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ જિલ્લાના દરિયાઇ પટ્ટીના મહત્વનું ગણાતું કેશોદ એરપોર્ટ ફરી વખત શરૂ થયું તેને અઢી વર્ષ પૂર્ણ થવા જાય છે. ત્યારે એલાયન્સ એર એટીઆર 72 ને પૂરતો ટ્રાફિક મળતાં મુંબઈ – કેશોદ – મુંબઈ રૂટની ફલાઇટની ઉડાનમાં સોમવારનો એક દિવસ વધારો કરવા વિચારાઈ રહ્યું છે. એટલે કે અઠવાડિયાના રવિ, બુધ, શુક્ર આવ – જા કરતું વિમાન 4 દિવસ ઉડાન ભરશે. જયારે જુનાગઢ ગીરનાર, આસપાસમાં આવેલાં સોમનાથ, માધવપુર જેવા ધાર્મિક સ્થળો તેમજ ગીર અભયારણ્યમાં એશિયાટિક સિંહ દર્શન,ચોરવાડ હોલિડે કેમ્પ, દિવ સહિતના પર્યટન સ્થળો ઉપરાંત વેપાર ધંધા રોજગારનો વ્યાપ વધે તે માટે રાજ્ય, રાજ્ય બહાર કે વિદેશ જતાં મુસાફરોની અવર જવર કરવા સરળ બને તે માટે તા. 29 ઓક્ટો 2024 ના રોજથી એલાયન્સ એર એટીઆર 72 વિમાન વધારાના રૂટ તરીકે અમદાવાદ – કેશોદ ઉડાન ભરશે.
- Advertisement -
આ વિમાન વધુ સમય કેશોદ એરપોર્ટ પર પાર્ક ન કરવું પડે તે માટે આજ વિમાનને દિવ અને ત્યાંથી મુંબઈ જવા વિચારણા હેઠળ છે. આથી મુસાફરોની વધારાની સુવિધા જેવા કે અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, કેશોદ, માંગરોળ સહિતના મુસાફરો માટે પર્યટન સ્થળ દિવ જવું પણ સરળ બનશે. એલાયન્સ એરના રૂટનો સમય ઓનલાઇન જોવા મળી રહ્યો છે જેનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. પરંતુ વિમાની કંપની અને ડીજીસીએ વચ્ચે સૈધ્ધાંતિક મંજૂરી અંગે ગતિવીધી ચાલું હોય આ અંગે વિમાની કંપનીએ સત્તાવાર જાહેરાત કરવાનું ટાળ્યું હતું. જો કે વર્ષ 1945 માં નિર્માણ પામેલ એરપોર્ટ 20 વર્ષ બંધ રહ્યાં બાદ ભૌગોલિક સ્થિતીએ દરિયાઈ પટ્ટી નજીક અને મુસાફરો માટે મધ્યમાં ગણાતાં કેશોદ એરપોર્ટના વિકાસને લઈ જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.