ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રૂ. 781 કરોડના 617 વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પરના યાત્રા સ્થાનકોએ આવતા પ્રવાસીઓને પાણીની સુવિધા આપવા તળેટીથી ગિરનાર અંબાજી મંદિર સુધી, નર્મદાનું પાણી પહોંચાડવા માટે 4 હજાર મીટર લાંબી પાઇપલાઇન નાંખવા માટે રૂ.25 કરોડનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢના પરિક્રમા પથ પર કાયમી વ્યવસ્થાઓ કરવા માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
સંતોની ભૂમિ વિકાસમાં પાછળ નહીં રહે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જૂનાગઢને વિકાસની તરાહમાં લાવવા માટે વોંકળાના ટૂંક જ સમયમાં લાઈનદોરીથી દબાણો દૂર કરી તેની સફાઈ કરવા સાથે કાળવા નદીને ઊંડી કરવા માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વના યજમાન જૂનાગઢ મહાનગર, જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે મહાનગરના વિકાસ કામો માટે મ્યુનિસિપલ કમિશનરને રૂ. અઢી કરોડ, જિલ્લાની નગરપાલિકાઓ વિસ્તારોના વિકાસ માટે જિલ્લા કલેકટરને રૂ. અઢી કરોડ અને ગ્રામ પંચાયતોના વિકાસ કામો માટે જિલ્લા વિકાસ અધિકારીને રૂ. અઢી કરોડ ફાળવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.
ગિરનાર પર્વત પર પીવાના પાણીની વ્યવસ્થા માટે 25 કરોડના ખર્ચે નર્મદાના નીર પહોંચાડાશે: CM
