ગુજરાત આજે શોકમગ્ન છે, ફરી મચ્છુમાં અનેક જિંદગીઓ હોમાઈ છે, આખે આખા પરિવાર ડૂબી જવાથી અનેક ગામોમાં ડૂસકાં સંભળાઈ રહ્યા છે ત્યારે પીએમ મોદી પણ ગુજરાત પ્રવાસે છે. એવામાં આવતીકાલે પ્રધાનમંત્રી પોતે મોરબી પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરશે તથા પીડિતો સાથે મુલાકાત કરશે.
વડાપ્રધાન મોદી થયા ભાવુક
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હું એકતા નગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે આટલું કહેતા જ PM મોદીનો અવાજ રૂંધાયો હતો અને તેમણે કહ્યું કે આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે. પીએમ મોદીએ કહ્યું હું ભલે આજે અહિયાં તમારી વચ્ચે છું પણ મારુ મન કરુણાથી ભરાયેલું છે અને મોરબીના પીડિતોની સાથે છે. ગઇકાલથી જ મુખ્યમંત્રી મોરબીથી સતત કામ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ બને તેટલી મદદ કરવામાં આવી રહી છે.
- Advertisement -
પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે ૧ તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.
— CMO Gujarat (@CMOGuj) October 31, 2022
- Advertisement -
આ ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો “પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવાયું છે. આ સિવાય અમદાવાદમાં મોદીનો રોડ સો સહીત અનેક કાર્યક્રર્મો રદ કરાયા છે.
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ
વધુમાં મોરબીમાં પુલ તૂટવાની કરુણ ઘટનાને લઇને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તા. ૩૧.૧૦.૨૨ ના રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર ‘પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતજી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહજી, વરિષ્ઠ નેતા બી કે હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજી, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ,પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી જઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પૂછશે અને જેમને આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે.