પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી: સૌરાષ્ટ્રમાં 1 જુલાઇથી ચોમાસું જમાવટ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
તારીખ 16 જૂનથી વડોદરા અને પોરબંદર વચ્ચે અટકી પડેલું નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે અને ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા સિવાયના સમગ્ર વિસ્તારને ચોમાસાએ આવરી લીધું છે એવી સત્તાવાર જાહેરાત ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યાર સુધી વડોદરા અને પોરબંદર વચ્ચે અટકી પડેલું ચોમાસું જંપ મારીને સીધું ડીસા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત અરબી સમુદ્રના મોટાભાગના વિસ્તારોને પણ નૈઋત્યના ચોમાસાએ આવરી લીધા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન, દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીના દરિયામાં ઓફ શોર ટ્રફ, મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સરક્યુલેશન જેવી ભારે વરસાદ લાવી શકે તેવી અનેક સિસ્ટમ કાર્યરત થઇ છે. તેના કારણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જોકે નોંધપાત્ર વરસાદ દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં પડશે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ તારીખ 1 જુલાઈથી સૌરાષ્ટ્રમાં ચોમાસું જમાવટ કરશે અને ત્યાં સુધી છુટા છવાયા ઝાપટાથી માંડી હળવો અને મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
અરબી સમુદ્રમાં જોવા મળેલા લો પ્રેશરને કારણે પોર્ટ ઓથોરિટી સાબદી બની ગઈ છે. અત્યારે માછીમારીની સિઝન નથી પરંતુ આમ છતાં માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જખોથી ભાવનગર અને ગુજરાતમાં દહેજથી દમણ સુધીના બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.