સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ એવા રાજકોટના ‘ધરોહર લોકમેળા’ માં અચાનકથી મોટી આગ લાગી હતી. એવામાં અમુક જાગૃત નાગરિકો દ્વારા મેળાના કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાતા તુરંત જ ઈમરજન્સી સાયરન જોર જોરથી વાગવા લાગી હતી. લોકોમાં નાસભાગ મચે તે પહેલાં જ ડ્યુટી પરના પોલીસ કર્મચારીઓ તથા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનો દ્વારા લોકોને ઘટના સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન કંટ્રોલરૂમમાંથી પણ મેળામાં ઉપસ્થિત નાગરિકોને સલામત રીતે ઘટના સ્થળથી દૂર હટી જવાની સતત જાણ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ટેલીફોનીક જાણ થતાં જ તુરંત પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર વાસ્તવિક રીતે કાબુ કરી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. સમગ્ર ઘટનાને અંતે આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરાઈ હતી. આ સમયે પ્રાંત અધિકારી ચાંદની પરમાર, દક્ષિણ મામલતદાર જે.વી.કાકડીયા, ડિઝાસ્ટર મામલતદારની સમગ્ર ટીમ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રાધીકા બારાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર ઝણકાટ સહીત પોલીસ વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી હતી.



