મહાનગરપાલિકા અને JCI સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું : ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિત વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રાવણી પૂનમે પોરબંદર શહેરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. ઐતિહાસિક માહિતી અનુસાર, પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1045 (ઈ.સ. 989)માં શ્રાવણ સુદ પૂનમના રોજ જેઠવા વંશના રાજવી દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
આ દિવસે પોરબંદરની નામકરણ સ્થાપના થઈ હોવાનું મનાય છે, અને તે સમયે શનિવારનો દિવસ હતો. પોરબંદરના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. પોરબંદરના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્વાતંત્ર દિન તથા પોરબંદરના સ્થાપના દિવસ અંતર્ગત સંસ્થાઓ દ્વારા અલગ અલગ સ્થળોએ જિલ્લા કલેકટર એસડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજ્યા હતા. જેમાં પોરબંદર મહાનગરપાલિકા અને જેસીઆઈ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પોરબંદરના 1036 માં સ્થાપના દિવસ પ્રસંગે દરિયા દેવની મહા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમજટ બોલાવાઇ હતી. સાંદિપનીના ઋષિ કુમારો દ્વારા દરિયાદેવની મહા આરતી મંત્રોચ્ચાર સાથે કરાઈ હતી. તેમજ વિશ્વવિખ્યાત મહેર સમાજનો ઢાલ તલવાર રાસ, જીગ્નેશ પાટણેસાના ગૃપ દ્વારા સંગીત કાર્યક્રમ, સરગમ ગરબા ક્લાસએ કૃષ્ણ સુદામાના જીવન ચરિત્ર ઉપર નૃત્ય વાટિકા રજુ કરી હતી. પોરબંદરના સ્થાપના દિવસ નિમિત્તે દર્શિલ ગોરાણીયાએ પોરબંદરની ગઈકાલ, આજ અને આવતીકાલ વિષય ઉપર સુંદર વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં પોરબંદરવાસીઓ જોડાયા હતા.