જે વિસ્તારમાં વર્ષોથી નામોનિશાન ન હતું, ત્યાં પગલા પાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં એશિયાટિક સિંહનું આગમન થયું છે. 5 દિવસ પહેલા વન વિભાગના કર્મચારીઓને સિંહના સગડ મળી આવતા તેના લોકેશન અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર દિવસ બાદ સિંહનું લોકેશન મળી આવતા તેને લોકેટ કરી જૂનાગઢ વન વિભાગની ટીમ બોલાવી સિંહને ટ્રક્યુંલાઈઝ કરી લાત કોલર બાંધવામાં આવ્યો હતો. હાલ વનવિભાગ દ્વારા તેની પાછળ ફરી તેની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે આ વિસ્તારમાં સિંહનું આગમન થતાં માલધારીઓ અને ગામલોકોને આ અંગે સચેત કરવામાં આવ્યા છે. તેમજ તેમના માલઢોરને કોઈ નુકસાન થાય તો તાકીદે વનવિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
ભાવનગર જીલ્લો કે જ્યાં ભૂતકાળમાં મોટી સંખ્યામાં એશિયાટીક સિંહો વસવાટ કરતા હતા, પરંતુ સમયાંતરે તે નામશેષ થઈ જતાં તેનું અસ્તિત્વ માત્ર ગીર પુરતું સિમિત થઇ ગયું હતું, અને સિંહોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ સરકાર દ્વારા બાબતે ગંભીર વિચારણા કરી એના સંવર્ધન માટે ખાસ કાળજી લઇ સિંહોની સંખ્યામાં વધારો થાય એ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતા હાલ સિંહોની વસ્તી ખૂબ જ વધી જવા પામી છે. અને હવે સિંહો ગીર છોડી અન્ય જિલ્લાઓમાં તેમના નવા વસવાટ માટે સ્થળાંતર કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં જેમાં મહુવા, ગારિયાધાર, તળાજા, જેસર, પાલીતાણા, સહિતના પંથકમાં સિંહો જોવા મળી રહ્યા છે, જે માટે આ વિસ્તારને બૃહદ ગીર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યારે હવે સિંહે તેનું નવું રહેઠાણ વલભીપુર તાલુકાના ભાલ પંથકમાં બનાવ્યું છે, જેમાં ચાર દિવસ પહેલા આશરે ચાર વર્ષનો નર સિંહ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો, અને જેના સગડ વન વિભાગના કર્મચારીઓને મળતા તેનું લોકેશન ટ્રેસ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાજગઢ, પાણવી, લુણધરા સહિતના ગામના સીમ વિસ્તારોમાં લોકેશન અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત રાત્રિના સિંહનું લોકેશન મળી આવતા જુનાગઢથી વનવિભાગની સ્પેશિયલ ટીમ બોલાવી સિંહને ટ્રુંક્યુંલાઈઝ કરવામાં આવ્યો હતો.


