ઈરાનની રાજધાની તેહરાનમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ એરસ્ટ્રાઈકમાં ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાની અને તેમના પુત્ર મોર્તઝા લારિજાનીનું મોત નીપજ્યું છે. આ હુમલા બાદ તેહરાનના શહીદ સ્મારક પરથી પિતા-પુત્રના મૃતદેહોની તસવીરો સામે આવી છે, જેમાં બંનેના તાબૂત એકસાથે રાખવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ઈરાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અલી લારિજાની સાથે પુત્ર મોર્તઝાનું પણ હુમલામાં કરુણ મોત
- Advertisement -
મળતી વિગતો મુજબ, અલી લારિજાની તેહરાનના ઉત્તર-પૂર્વમાં આવેલા પરદિસ વિસ્તારમાં પોતાની પુત્રીના ઘરે રોકાયા હતા. ઈઝરાયલી સેનાએ ચોક્કસ બાતમીના આધારે લારિજાનીને ટાર્ગેટ બનાવીને આ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં માત્ર અલી લારિજાની જ નહીં, પરંતુ તેમની સાથે રહેલા તેમના પુત્ર મોર્તઝા, સુરક્ષા બાબતોના ડેપ્યુટી અલીરેઝા બાયાત અને કેટલાક બોડીગાર્ડ્સના પણ ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને તેમને ‘ઈસ્લામિક રિપબ્લિકના આજીવન સેવક’ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી છે.
ઈરાનના ટોચના નેતૃત્વ પર અત્યાર સુધીનો સૌથી સીધો અને ઘાતક હુમલો
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, લારિજાની એ મુખ્ય વરિષ્ઠ હસ્તીઓમાંથી એક હતા જેમને ઈઝરાયલી હુમલામાં ખતમ કરવામાં આવ્યા છે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, આ હુમલો ઈરાનના ટોચના નેતૃત્વ પર કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી સીધા અને ઘાતક હુમલાઓમાંથી એક છે. હાલના સંઘર્ષમાં ઈરાને પોતાના અનેક મોટા અધિકારીઓ ગુમાવ્યા છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.




