આમ આદમી પાર્ટીનાં પૂર્વ સભ્ય કુમાર વિશ્ર્વાસનો ટ્વિટ કરી આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર તરફથી લાગુ કરવામાં આવેલી નવી દારૂ પોલિસી વિવાદમાં આવી ગઈ છે. કેજરીવાલના જૂના સહયોગી અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્ર્વાસે આ નવી પોલિસી લાગુ કરવા પાછળ લાંચનો આરોપ લગાવ્યો છે. કુમાર વિશ્ર્વાસે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે નવી પોલિસી અંતર્ગત દારૂની દુકાનોની વહેંચણી કરવા માટે બન્ને નેતા દ્વારા રૂ. 500 કરોડની લાંચ લેવામાં આવી છે. ‘બંને નેતા’ કહીને તેમણે મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે આડકતરા આક્ષેપ લગાવ્યા છે. કુમાર વિશ્ર્વાસે સોમવારે સોશિયલ મીડિયા પર નવી દારૂની પોલિસી સાથે જોડાયેલા એક ન્યૂઝને રી-ટ્વીટ કરતી એક પોસ્ટ લખી છે.
આ પોસ્ટમાં લખ્યું છે કે પીવાવાળાની ઉંમર 21થી ઘટાડીને 18 કરવા અને 1000 નવી દુકાન શરૂ કરવાની પોલિસી લાગુ કરવાની ભલામણ લઈને 2016માં દિલ્હીનો દારૂ-માફિયા એક ધારાસભ્યને સાથે લઈને મારી પાસે આવ્યો હતો. કુમાર વિશ્ર્વાસે ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે મેં તેને હડધૂત કરીને ભગાડી દીધો હતો અને બંને નેતાને ચેતવી દીધા હતા. હવે નાનાનો સાળો છે, તેણે 500 કરોડની ડીલમાં બધું સેટ કરાવી દીધું છે. વિશ્ર્વાસના ખાસ લોકોના જણાવ્યા પ્રમાણે, તેણે પોસ્ટમાં ’બંને નેતા’ શબ્દ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી ઈખ મનીષ સિસોદિયા માટે વાપર્યા છે. એ ઉપરાંત તેમણે ’નાનો’ એટલે સિસોદિયા તરફ ઈશારો કર્યો છે.